Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

અમેઠીમાં સ્મૃતિ ઇરાનીની જીતમાં ભૂમિકા ભજવનારની હત્યા

પરિવારના સભ્યોને કોંગ્રેસ પાર્ટી ઉપર શંકા : વહેલી પરોઢે ત્રણ વાગે હુમલાખોરોએ સુરેન્દ્રસિંહની ગોળી મારી હત્યા કરી : સ્મૃતિ ઇરાની અંતિમસંસ્કારમાં ઉપસ્થિત રહ્યા

અમેઠી, તા. ૨૬ : કોંગ્રેસના ગઢ અમેઠીમાં ભાજપ નેતા સ્મૃતિ ઇરાનીની શાનદાર જીત બાદ તેમના નજીકના નેતા સુરેન્દ્રસિંહની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના બાદથી ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળે છે. સુરેન્દ્રસિંહના પરિવારના સભ્યોએ સ્થાનિક કોંગ્રેસી નેતાઓ ઉપર હત્યાનો આક્ષેપ કર્યો છે. બીજી બાજુ ચિંતાતુર થયેલા અમેઠીના સાંસદ અને કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની દિલ્હીથી તરત અમેઠી પહોંચ્યા હતા. સુરેન્દ્રના પરિવારને મળ્યા હતા. અંતિમ સંસ્કારમાં પણ જોડાયા હતા. અમેઠીના બરોલિયાના પૂર્વ પ્રધાન સુરેન્દ્રસિંહની શનિવારે મોડી રાત્રે હત્યા કરવામાં આવી હતી. વહેલી પરોઢે ત્રણ વાગે હુમલાખોરોએ ગોળી મારી હતી. સુરેન્દ્રના ભાઇ નરેન્દ્રસિંહ અને પુત્ર અભયપ્રતાપસિંહે કહ્યું હતું કે, સ્મૃતિ ઇરાનીની ચૂંટણીમાં તેઓ સતત સક્રિય રહ્યા હતા. સ્મૃતિને જીતાડવા માટે સુરેન્દ્રએ ખુબ ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. રાહુલ ગાંધીની હાર બાદથી અનેક કોંગ્રેસી નેતા નાખુશ દેખાઈ રહ્યા હતા. પુત્ર અભયે કહ્યું હતું કે, સ્મૃતિ ઇરાનીની જીતથી લોકો ખુશી મનાવી રહ્યા હતા જ્યારે કેટલાક કોંગ્રેસી નેતાઓને આ વાત પસંદ પડી ન હતી. પિતાના હત્યારાઓને વહેલીતકે પકડી પાડીને સજા કરવાની માંગ કરવામાં આવી છે. બીજી બાજુ ઉત્તરપ્રદેશ પોલીસના જીડીપી ઓપીસિંહે કહ્યું છે કે, કેસમાં ઉંડી તપાસ ચાલી રહી છે. કેટલાક પુરાવા હાથ લાગ્યા છે. સાત લોકોને હજુ સુધી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આગામી ૧૨ કલાકની અંદર જ કેસને ઉકેલી લેવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે. આસપાસના ગામોમાં સુરેન્દ્રસિંહ ભારે પ્રભાવ ધરાવતા હતા. ચૂંટણી પ્રચારમાં પણ તેમની ભૂમિકા નિર્ણાયક રહી હતી. સ્થાનિક લોકોના કહેવા મુજબ અનેક ગામોમાં તેમનું વિશેષ પ્રભુત્વ હતું. સ્મૃતિની જીતમાં સૌથી મોટી ભૂમિકા તેમની હતી.

(7:36 pm IST)