Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

દરરોજ 10 હજારથી વધુ કોરોના કેસ આવતા કર્ણાટકમાં 14 દિવસના લોકડાઉનની મુખ્‍યમંત્રી બી.એસ. યેદિયુરપ્‍પાની જાહેરાત

બેંગલુરૂ: કોરોના સંક્રમણની બીજી લહેર વચ્ચે કર્ણાટકે બે અઠવાડિયા માટે લૉકડાઉન જેવા પ્રતિબંધ મુકી દીધા છે. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સોમવારે જાહેરાત કરી છે કે રાજ્યમાં દિલ્હી અને મહારાષ્ટ્રથી પણ ઝડપથી કોરોના ફેલાઇ રહ્યો છે, એવામાં 14 દિવસ માટે લૉકડાઉન લગાવવામાં આવી રહ્યુ છે. કર્ણાટકમાં આ પ્રતિબંધ કાલ રાતથી લાગુ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે કર્ણાટકમાં દરરોજના એવરેજ 10 હજારથી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે જ્યારે ગુજરાતમાં દરરોજના એવરેજ 14 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે.

આ લૉકડાઉન દરમિયાન માત્ર જરૂરી સેવાઓને છૂટ મળશે પરંતુ જરૂરી સામાન સાથે જોડાયેલી દુકાનો પણ 4 કલાક જ ખુલ્લી રહેશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ખુલ્લુ રાખવામાં આવશે પરંતુ ગારમેન્ટ-કંસ્ટ્રક્શનને બંધ રાખવામાં આવશે.

કર્ણાટકના મુખ્યમંત્રીનું કહેવુ છે કે રાજ્યમાં 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને સરકારી હોસ્પિટલમાં મફત વેક્સીન લગાવવામાં આવશે. 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને પહેલા જ વેક્સીન મફત લગાવવામાં આવી રહી છે. કોરોનાની સ્થિતિને જોતા મુખ્યમંત્રીએ કહ્યુ કે સ્થાનિક અધિકારીઓના હાથમાં કડક નિયમ લાગુ કરવાની તાકાત હશે, જ્યારે જ્યા કરર્ફ્યૂ લાગેલુ છે તે પહેલાની જેમ ચાલુ જ રહેશે.

મહત્વપૂર્ણ છે કે કોરોના સંકટને કારણે કર્ણાટકમાં આ સમયે સ્થિતિ ઘણી ખરાબ છે. અહી દરરોજ 10 હજારથી વધુ એવરેજ કેસ સામે આવી રહ્યા છે. કર્ણાટકમાં આ સમયે એક્ટિવ કેસની સંખ્યા પણ 2.62 લાખ પહોચી ગઇ છે. એક્ટિવ કેસ મામલે કર્ણાટક દેશમાં ત્રીજો સૌથી પ્રભાવિત રાજ્ય છે. કર્ણાટકમાં કોરોનાને કારણે અત્યાર સુધી 14 હજારથી વધુ લોકોના જીવ ગયા છે.

(5:23 pm IST)