Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

રોહિત તિવારી હત્યા : પત્નિ અપૂર્વા અંતે જેલ ભેગી થઈ

૧૪ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાઈ : પુછપરછની હવે વધુ જરૂર નથી તેવી પોલીસની રજૂઆત બાદ અપૂર્વાને જેલમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો

નવી દિલ્હી, તા. ૨૬ : હાઈપ્રોફાઇલ રોહિત શેખર તિવારી મર્ડર કેસમાં દિલ્હીની ખાસ અદાલતે તેમના પત્નિ અપૂર્વા શુક્લાને ૧૪ દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિપક સહરાવતે પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવ્યા બાદ કે અપૂર્વાને કસ્ટડીમાં લઇને પુછપરછની જરૂર નથી તેવા નિવેદન બાદ અપૂર્વાને જેલમાં મોકલી દેવામાં આવી હતી. અપૂર્વાની હાલમાં જ ધરપકડ કરવામાં આવી હતી. રોહિત શેખર સ્વર્ગસ્થ વરિષ્ઠ નેતા એનડી તિવારીના પુત્ર છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ ૧૫અને ૧૬મી એપ્રિલના દિવસે ગળુ દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી. કોર્ટની વકીલ અપૂર્વાથી રવિવારના દિવસે હત્યાને લઇને લાંબી પુછપરછ કરવામાં આવી હતી. રોહિત શેખર તિવારીની માતા ઉજ્જવલાએ ગુરુવારના દિવસે કહ્યું હતું કે, તેઓએ પોતાના પુત્રને અપૂર્વાને લઇને ચેતવણી આપી હતી પરંતુ તેની વાત ઉપર ધ્યાન આપવામાં આવ્યું ન હતું. તેમની વચ્ચે વારંવાર લડાઈ ઝગડા થતાં હતા.

લગ્નના થોડાક દિવસ બાદથી જ ગયા વર્ષે મે મહિનાની આસપાસ રોહિતને છોડીને અપૂર્વા જતી રહી હતી. ત્યારબાદ રોહિતને બે વખત કાયદાકીય નોટિસ ફટકારવામાં આવી હતી. સામાન્ય રીતે તે રોહિતને હેરાન પરેશાન પણ કરતી હતી. આ પહેલા રોહિતની માતા ૮૦ વર્ષની ઉજ્જવલાએ કહ્યું હતું કે, તેઓએ પોતાના પુત્રના લગ્ન બેંગ્લોરની એક યુવતી સાથે નક્કી કર્યા હતા પરંતુ અપૂર્વાએ રોહિત પર લગ્ન કરવા માટે દબાણ લાવ્યું હતું. શરૂઆતમાં જ્યારે અપૂર્વાએ પોતાની રાજકીય મહત્વકાંક્ષા દર્શાવી ત્યારે રોહિતે અપૂર્વા સાથે નહીં રહેવાનો નિર્ણય કર્યો હતો. અપૂર્વાને કહેવામાં આવ્યું હતું કે, તે તેના પતિથી દૂર રહી શકે છે પરંતુ અપૂર્વા ખતરનાક કાવતરા ઘડી રહી હતી. અપૂર્વાની મુશ્કેલી પણ હવે વધી શકે છે.

 

(7:41 pm IST)