Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

દિલ્હી ખાતે લોકસભા સ્પીકર ઓમ પ્રકાશ બિરલાના નિવાસે પૂ. નમ્રમૂનિ મ.સા.ની પધરામણી

લોકસભામાં પધારવા આમંત્રણ આપી અહોભાવ પ્રગટ કરતા બિરલાજી

રાજકોટ, તા. ૨૬ : રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ની રાજધાની દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહની સ્થિરતા દરમ્યાન વિવિધ કાર્યક્રમો દ્વારા અનેક અનેક ભાવિકોની આત્મ ચેતનાની જાગૃતિ બાદ પરમ ગુરુદેવે લોકસભાના સ્પીકર શ્રી ઓમપ્રકાશજી બિરલાના નિવાસસ્થાને મંગલ પધરામણી કરી હતી

 દિલ્હીના ગુરુ ભકત ભાવિનભાઈ દોશીના નિવાસસ્થાને પરમ ગુરૂદેવના વર્ષોના પરિચિત એવા શ્રી અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના ઉપાધ્યક્ષ એવમ્ સાઉથ દિલ્હી સંઘના અધ્યક્ષ, સમાજરત્ન સુભાષજી ઓસવાલ દ્વારા લોકસભાના સ્પીકર ઓમપ્રકાશજી બિરલાને આશીર્વાદ આપવાની વિનંતિનો સ્વીકાર કરીને પરમ ગુરૂદેવ એમના નિવાસસ્થાને પધાર્યા હતાં.

લોકસભાના સ્પીકર જેવા ઉચ્ચ પદધારક હોવા છતાં શ્રી ઓમપ્રકાશજી એ અત્યંત વિનમ્રતા સાથે પરમ ગુરૂદેવનું સ્વાગત કરીને અંતરના અહોભાવથી શાલ અર્પણ કરી. સુભાષજી ઓસવાલ, સુગાલ એન્ડ દામાણી ગ્રુપના પ્રશમજી, ભાવિનભાઈ દોશી,  દિનેશભાઈ ભાયાણી આદિ કાર્યકર્તાઓની સાથે આચાર્યશ્રી લોકેશ મુનિજી ઉપસ્થિત રહ્યાં હતાં. અનેક પ્રકારની ધર્મચર્ચાઓ તેમજ રાષ્ટ્રવિકાસની ચર્ચા- વિચારણા થઈ હતી.

પરમ ગુરુદેવના કરકમલથી આપવામાં આવેલી શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની અભિમંત્રિત માળાને શ્રી ઓમપ્રકાશજી એ અહોભાવથી મસ્તકે સ્પર્શ કરીને વિનયપૂર્વક ગ્રહણ કરી હતી. ઉચ્ચ પદના ધારક હોવા છતાં તેમનો જૈન સંતો પ્રત્યેનો વ્યવહાર અને અહોભાવ પ્રશંસનીય હતો. આચાર્ય શ્રી લોકેશમુનિજી એ પણ આગામી દિવસોમાં ઉજવવામાં આવનાર મહાવીર જયંતીના અવસર પર ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપ્યું હતું. સુભાષભાઈ ઓસવાલ સાથે આવેલાં અન્ય ભાવિકોએ અંતરના ભકિતભાવ વ્યકત કર્યા હતાં. શ્રી ઓમપ્રકાશજીએ પ્રસન્નતાપૂર્વક લોકસભામાં પધારવાનું આમંત્રણ આપી અહોભાવ પ્રગટ કર્યો હતો.

(3:21 pm IST)