Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

RRB-NTPC પરિણામ પર બબાલઃ ઉમેદવારોએ મંગળવારે પણ ટ્રેન રોકી, પેસેન્જર ટ્રેનમાં લગાવી આગ

પોલીસે ટિયર ગેસના સેલ છોડી વિદ્યાર્થીઓને ભગાડવાનો પ્રયાસ કર્યો તો વિદ્યાર્થીઓએ પથ્થરમારો કર્યો હતો

 

નવી દિલ્હીઃ રેલવે ભરતી બોર્ડ (આરઆરબી) ની એનટીપીસીની પરીક્ષાની પેટર્નમાં ફેરફાર અને પરિણામમાં ગડબડનો આરોપ લગાવતા નારાજ ઉમેદવારોએ મંગળવારે બીજા દિવસે પણ રેલવે ટ્રેક પર કબજો કરી લીધો. મંગળવાર બપોરે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આરા જંક્શન પહોંચ્યા અને રેલવે ટ્રેકને જામ કરી દીધો હતો. વચ્ચે પોલીસે ટિયર ગેસના સેલ છોડી વિદ્યાર્થીઓને ભગાડવાનો પ્રયાસ કર્યો તો વિદ્યાર્થીઓએ પથ્થરમારો કર્યો હતો. તો ટ્રેક પ્રભાવિત હોવાને કારણે પશ્ચિમી ગુમટીની પાસે ઉભેલી સાસારામ-આરા પેસેન્જર ટ્રેનમાં આગ લગાવી દીધી હતી. ટ્રેનના પાછલા ભાગના એન્જીનના લોકો પાયલટે કોઈ રીતે જીવ બચાવ્યો અને આગને કાબુમાં લીધી હતી. લોકો પાયલટ રવિ કુમારની તત્પરતાથી આગને કારણે અન્ય કોચને નુકસાન થયું નહીં પરંતુ એન્જીન સળગી ગયું હતું.

પથ્થરમારાની ઘટનામાં એએસપી હિમાંશુ કમાર, નવાદા ઇમ્સ્પેક્ટર અવિનાશ કુમાર, આરપીએફ ઇન્સ્પેક્ટર સુમન કુમારી સહિત એક ડઝનથી વધુ સિપાહી ઈજાગ્રસ્ત થઈ ગયા. ત્યારબાદ પોલીસે વિદ્યાર્થીઓને ભગાડ્યા હતા. દરમિયાન અફરાતફરી મચી હતી. પોલીસે પોતાની સુરક્ષા માટે પથ્થરમારો કરવો પડ્યો હતો. સાંજે સાત કલાક બાદ રેલવેનું પરિચાલન શરૂ થયું હતું.

નવાદામાં મશીન અને સીટમાં આગ લગાવી

નવાદા રેલવે સ્ટેશન પર, વિદ્યાર્થીઓએ ડાયનેમિક ટેમ્પરિંગ એક્સપ્રેસ મશીન, ટ્રેક રિપેરિંગ મશીન અને કેટલાક પેસેન્જર શીટ્સને આગ ચાંપી દીધી હતી. ટ્રેક કપ્લિંગ્સ દૂર કરવામાં આવ્યા હતા. લાઠીચાર્જ કરીને દેખાવકારોને હટાવ્યા બાદ ટ્રેન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.

પરીક્ષા આપવા પર લાગશે આજીવન પ્રતિબંધઃ રેલવે

આરઆરબીએ રેલ ચક્કાજામ કરનાર વિદ્યાર્થીઓ અને રેલ પાટા પર પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે. રેલવેએ અખબારી યાદી જારી કરી તપાસ દરમિયાન તોડફોડ અને હિંસક પ્રદર્શનમાં સામેલ મળશે તેવા વિદ્યાર્થીઓ પર રેલવેની પરીક્ષામાં બેસવાથી આજીવન પ્રતિબંધ રહેશે. તેની જાણકારી આરઆરબીના અધ્યક્ષે અખબારી યાદીના માધ્યમથી આપી છે.

અહીં પણ થયો વિવાદ

- બિહારશરીફમાં શ્રમજીવી એક્સપ્રેસ રોકી, રસ્તા પર પણ પ્રદર્શન કર્યું.

- છપરા-થાવે રેલખંડના રાજાપટ્ટી સ્ટેશન પર અવરજવરમાં મુશ્કેલી

-મશરક-મહમ્મદપુર એસએચ 90 રેલવે ઢાલાની પાસે જામ કરી.

- હાજીપુર-મુઝફ્ફરપુર રેલવે સેક્શનના ભગવાનપુર સ્ટેશન પર એક કલાક સુધી ટ્રેનોનું સંચાલન ખોરવાઈ ગયું હતું.

-ભાબુઆના જેપી ચોક પાસે રોડ જામ, મુસાફરો અટવાયા

-બક્સર રેલવે સ્ટેશન પર પ્રદર્શનને કારણે પાંચ કલાક સુધી ટ્રેન વ્યવહાર ખોરવાયો, 150 અજાણ્યા વિરુદ્ધ FIR નોંધાઈ

-જહાનાબાદ અને નવાદામાં હંગામાને કારણે ટ્રેનો ઉભી રહી હતી.

(11:19 am IST)