Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

મુંબઈના શખ્સને મૃત્યુના ૨૦ વર્ષ બાદ નિર્દોષ જાહેર કરાયો

દેશમાં કાયદાઓની મર્યાદાઓનો ભોગ બનતા લોકો : યુપીના ૮૦ વર્ષનાં એક વૃદ્ધાને મૃત દર્શાવી પેન્શન અટકાવી દેવાતાં વૃધ્ધા પોતાને જીવિત સાબિત કરવા ધક્કા ખાય છે

મુંબઈ, તા. ૨૫ : દેશની ન્યાય વ્યવસ્થા પર આજે કટાક્ષ કરવામાં બોલિવૂડ ફિલ્મ દામિનીનો એક ડાયલોગ બોલાય છે. આ ડાયલોગ છે, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, આ ફિલ્મ દ્વારા ન્યાય પાલિકાની સિસ્ટમ પર સવાલ ઊભા કરાયા છે કે કેવી રીતે કોર્ટમાં ચાલી રહેલા કેસમાં વર્ષો સુધી એક બાદ એક તારીખ આપવામાં આવે છે. હાલમાં રિલીઝ થયેલી પંકજ ત્રિપાઠીની ફિલ્મ 'કાગજ'માં પણ આવો જ ઉલ્લેખ જોવા મળે છે. જેમાં એક વ્યક્તિના જીવતો મૃત જાહેર કરાયા બાદ તે સમગ્ર સિસ્ટમ સામે વર્ષો સુધી કોર્ટની કચેરીમાં ચક્કર કાપતો રહે છે.

હવે આવા જ બે મામલે સામે આવ્યા છે, જે હેરાન કરનારા છે. એક કેસ મુંબઈનો છે, જ્યાં એક દોષીને મૃત્યુના ૨૦ વર્ષો બાદ કોર્ટ નિર્દોષ જાહેર કર્યો છે. બીજો કેસ ઉત્તર પ્રદેશના મુરાદાબાદનો છે, જ્યાં એક ૮૦ વર્ષના વૃદ્ધાને મૃત બતાવીને તેમનું પેન્શન અટકાવી દેવામાં આવ્યું. હવે આ વૃદ્ધ મહિલા પોતાને જીવિત સાબિત કરવા માટે ધક્કા ખાઈ રહ્યા છે.

પહેલો મામલો સેલ્સ ટેક્સના રિફંડને ખોટું બતાવીને હાંસેલ કરવાના ષડયંત્રનો હતો. સપ્ટેમ્બર ૧૯૯૬માં સોલાપુરમાં એક સ્પેશ્યલ ટ્રાયલ કોર્ટે સુરેશ કાગને અને અન્ય બે સેલ્સ ટેક્સ અધિકારીઓને દોષી ગણાવ્યા હતા. સુરેશ અને અન્ય બે અધિકારીઓએ હાઈકોર્ટમાં અપીલ કરી. હવે આ મામલામાં ફરી સુનાવણી થઈ અને ૯૨ સાક્ષીઓના કોર્ટમાં હાજર થયા બાદ આ મામલામાં આરોપી અધિકારી તેના દીકરાને કોર્ટે તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધા છે. જોકે ૨૦ વર્ષ પહેલા જ સુરેશનું મોત થઈ ગયું હતું. તેની પત્ની અને દીકરો કોર્ટના ચક્કર કાપી રહ્યા હતા. ૧૯ જાન્યુઆરીએ હાઈ કોર્ટે અધિકારીને દોષમુક્ત કરી દીધો. ઉત્તર પ્રદેશના મુરાદાબાદની રહેનારી ૮૦ વર્ષની મહિલાને સરકારી દસ્તાવેજોમાં મૃત બતાવીને પેન્શન અટકાવી દીધું. હવે આ મહિલા પોતાને જીવિત સાબિત કરવા માટે કાયદાકીય લડત લડી રહી છે. તેને બે વર્ષોથી પેન્શન નથી મળી રહ્યું. વૃદ્ધ મહિલા શરીફને જણાવ્યું કે, તેનું પેન્શન લગભગ બે વર્ષ પહેલા અચાનક રોકી દેવાયું. તેણે અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કંઈ ન થયું. સરકારી ઓફિસોના ચક્કર કાપ્યા બાદ માલુમ પડ્યું કે તેમનું નામ વિધવા પેન્શન લાભાર્થીઓના લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું છે. તેમના સંબંધીઓએ પણ ઘણીવાર અધિકારીઓ પાસે જઈને રજૂઆત કરી પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ.

બે વર્ષથી પોતાના જીવિત સાબિત કરવા માટે વૃદ્ધા તમામ દસ્તાવેજ લઈને પહોંચ્યા. પોતે અધિકારીઓ સામે ઊભા રહી ગયા અને કહ્યું, હું જીવિત છું. પરંતુ કોઈ સુનાવણી ન થઈ. આ મામલે મુરાદાબાદના ઉપ-વિભાગીય મેજિસ્ટ્રેટ પ્રશાંત તિવારીને કહેવામાં આવતા તેમણે કહ્યું, આ મામલામાં અધિકારીઓની બેદરકારી છે અને તેમને ભૂલ સુધારવા માટે કહેવાયું છે.

(12:00 am IST)