Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

બેંગ્‍લુરૂમાં સેક્‍સ દરમિયાન ૬૭ વર્ષના શખ્‍સનું મોત

પ્રેમિકા અને તેના પતિએ વેપારીની લાશને પ્‍લાસ્‍ટિકની થેલીમાં નાખીને રસ્‍તા પર ફેંકી દીધી

બેંગ્‍લોર,તા.૨૫ : ગયા અઠવાડિયે, બેંગ્‍લુરૂના જેપી નગર વિસ્‍તારમાં રસ્‍તાની બાજુમાં એક વ્‍યક્‍તિની લાશ મળી આવી હતી. હવે પોલીસે ૬૭ વર્ષીય વ્‍યક્‍તિના મોતને લઈને મોટો ખુલાસો કર્યો છે. ૧૭ નવેમ્‍બરે જે વ્‍યક્‍તિની લાશ મળી હતી તેના મૃત્‍યુનું રહસ્‍ય હવે સામે આવ્‍યું છે. પોલીસે જણાવ્‍યું કે ૬૭ વર્ષીય વેપારીનું મોત સેક્‍સ દરમિયાન એપિલેપ્‍ટિક એટેક એટલે કે બ્રેઈન સ્‍ટ્રોકને કારણે થયું હતું. આ પછી તેની પ્રેમિકા અને તેના પતિએ વેપારીની લાશને પ્‍લાસ્‍ટિકની થેલીમાં નાખીને રસ્‍તા પર ફેંકી દીધી હતી. પોલીસે વેપારીના ફોન કોલની તપાસના આધારે આ ખુલાસો કર્યો છે.

પોલીસે જણાવ્‍યું કે ફોનની વિગતો અને લોકેશનની તપાસ કર્યા બાદ જાણવા મળ્‍યું કે વેપારી તેની ગર્લફ્રેન્‍ડના ઘરે હતો. પોલીસ અધિકારીએ ગુરુવારે જણાવ્‍યું હતું કે ‘હાલમાં કેસની તપાસ ચાલી રહી છે. એટલા માટે બિઝનેસમેન અને તેની ગર્લફ્રેન્‍ડની ઓળખ જાહેર કરવામાં આવી નથી.' જેપી નગર પોલીસ સ્‍ટેશનના અધિકારીએ જણાવ્‍યું કે, ‘૬૭ વર્ષીય બિઝનેસમેનના ૩૫ વર્ષની ગૃહિણી સાથે સંબંધ હતા. ૧૬ નવેમ્‍બરે સાંજે ૫ વાગ્‍યે તે તેના ઘરે પહોંચ્‍યો હતો. જયારે બિઝનેસમેન અને મહિલા એકબીજા સાથે પ્રાઇવેટ ક્ષણો માણી રહ્યા હતા, તે જ સમયે વેપારીનું મૃત્‍યુ થયું હતું. તેનાથી તેની ગર્લફ્રેન્‍ડ ગભરાઈ ગઈ અને તેણે વિચાર્યું કે જો કોઈને આ મૃત્‍યુની ખબર પડશે તો સમાજમાં તેનું નામ ખરાબ થશે.'

પોલીસ અધિકારીએ જણાવ્‍યું કે ‘ડરના કારણે મહિલાએ તેના પતિ અને ભાઈને ફોન કર્યો. આ લોકોએ પહોંચીને વેપારીની લાશને પ્‍લાસ્‍ટિકની થેલીમાં ભરીને જેપી નગરમાં જ એક નિર્જન વિસ્‍તારમાં ફેંકી દીધી હતી.' પોલીસ અધિકારીએ કહ્યું કે ‘જયારે અમે આ મામલે બિઝનેસમેનના પરિવારજનોને પૂછ્‍યું તો તેમણે જણાવ્‍યું કે તે તેની પુત્રવધૂને મળવાની વાત કરીને ઘરેથી નીકળ્‍યો હતો, પરંતુ તે ઘરે પરત ન આવતા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસનું કહેવું છે કે ‘હાલ આ કેસમાં પોસ્‍ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે સાબિત કરશે કે મહિલાનો દાવો સાચો છે કે નહીં.'

 

 

(11:27 am IST)