Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

કાલે અહેમદભાઇ પટેલના પાર્થિવ દેહને વતન પિરામણ લવાશે : સવારે ૯ વાગ્યા બાદ દફનવિધી : કોરોનાના કારણ લોકોને રૂબરૂ ન આવવા અને ઘરે જ પ્રાર્થના કરવા પરિવારજનોની અપીલ

ભરૂચ: કોંગ્રેસ ભૂતપૂર્વ નેતા અહેમદ પટેલના પાર્થિવ દેહને લઈને આવતું ખાસ વિમાન દ્વારા સાંજે ૭ વાગ્યે દિલ્હીથી ઉપડીને વડોદરા પહોંચશે. ત્યાંથી એ વતન પિરામણ પહોંચશે. આવતીકાલે સવારે નવ વાગ્યા પછી દફનવિધિ માટે લઈ જવાશે. તેમના પરિવારજનોએ ખાસ વિનંતી કરી છે તમામ લોકો કોવિડની ગાઈડલાઈનનું પાલન કરે અને કોઈપણ વ્યકિત ત્યાં રૂબરૂ ન આવે જે જ્યાં છે ત્યાં જ રહી પોતાની શ્રધ્ધાંજલિ આપી એમના માટે પ્રાર્થના કરે.

અહેમદ પટેલ મૃત્યુ પામ્યા પછી પણ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના વતન પિરામણ ખાતે માબાપની કબરની બાજુમાં જ તેમની દફનવિધિ કરવામાં આવશે. તેમનો મૃતદેહ વિમાન માર્ગે ભરૂચ આવશે અને ત્યાંથી તેમના વતન પિરામણ ખાતે લઈ જવાશે.

આ અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતથી રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા. જ્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. અહેમદ પટેલની અંતિમ ઈચ્છા હતી કે, તેમના અંતિમ સંસ્કાર ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલા વતન ખાતે કરવામાં આવે.

અહેમદ પટેલના અવસાનના સમચાર સાંભળીને અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અહેમદ પટેલની ઈચ્છા અનુસાર, પીરામણ ખાતે તેમના દફનવિધિની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીરામણ ગામમાં અહેમદભાઈના માતા-પિતાની કબર નજીક જ અહેમદ પટેલની દફનવિધિ કરવામાં આવી શકે છે.

ભરૂચ જિલ્લાના પિરામણ ગામમાં 21 ઓગસ્ટ, 1949ના રોજ જન્મેલા અહેમદ પટેલની રાજકીય સફર રોમાંચક રહી છે. તેઓ પિરામણથી દિલ્હી સુધી પહોંચ્યા હતા. દિલ્હીમાં કામમાં વ્યસ્ત છતાં પિરામણ સાથે તેમનો અતૂટ સબંધ રહ્યો હતો. તેઓ અવારનવાર માદરે વતન પિરામણ આવતા હતા અને ગામની સમસ્યાનો ઉકેલ લાવવા સતત પ્રયત્નશીલ રહેતા હતા.

(5:33 pm IST)