Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

માલિક કહે ત્યારે કેરટેકરે મકાન ખાલી કરવું પડે : સુપ્રીમ

પ્રોપર્ટીને લઈને કેરટેકરના દાવા પર કોર્ટનો ચુકાદો : કેર ટેકર-નોકર લાંબા સમય સુધી કબજો છતાં મિલકતમાં ક્યારેય અધિકારો મેળવી શકતા નથી, કોર્ટનું અવલોકન

નવી દિલ્હી, તા.૨૫ : સુપ્રીમ કોર્ટે પ્રોપર્ટીને લઈને કેરટેકરના દાવા અંગે મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લાંબા સમય સુધી કબ્જો હોવા છતાં કેર ટેકર/નોકર ક્યારેય મિલકત પર પોતાનો દાવો કરી શકે નહીં.

સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જ્યારે મકાન માલિક કહે ત્યારે કેરટેકર અથવા નોકરે ઘર અથવા મિલકત ખાલી કરવી પડશે. સુપ્રીમ કોર્ટે મામલે ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો છે. ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટે મકાન માલિકની અરજી સાંભળવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે તે અરજી પર આગળ સુનાવણી કરવાની ના પાડી દીધી હતી જેમાં કેર ટેકરે પોતાને પ્રોપર્ટી ખાલી કરવાની વિનંતી કરી હતી.

ટ્રાયલ જજે અરજીને વિવાદનો વિષય હોવાના આધારે ફગાવી દીધી હતી. માલિકના કહેવા પર લેખિત નિવેદન નોંધ્યા પછી ચકાસી શકાય છે. ટ્રાયલ કોર્ટે કહ્યું હતું કે આદેશ સાત નિયમ ૧૧, સિવિલ પ્રોસિજર કોડના દાયરામાં નથી. હાઈકોર્ટે પણ નીચલી કોર્ટના આદેશની પુષ્ટિ કરી હતી.

સીપીસીના ઓર્ડર નિયમ ૧૧ (ડી) જોગવાઈ કરે છે કે જો અરજીમાં કરવામાં આવેલ નિવેદન કોઈપણ કાયદા દ્વારા પ્રતિબંધિત હોવાનું જણાય છે તો દાવો ફગાવી દેવામાં આવશે.ટ્રાયલ કોર્ટના આદેશને ફગાવીને સુપ્રિમ કોર્ટના જસ્ટિસ અજય રસ્તોગીની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે ટ્રાયલ કોર્ટે મામલે સ્પષ્ટપણે ભૂલ કરી છે.

જસ્ટિસ અજય રસ્તોગીએ અવલોકન કર્યું કે કેર ટેકર/નોકર લાંબા સમય સુધી કબજો હોવા છતાં મિલકતમાં ક્યારેય અધિકારો મેળવી શકતા નથી. તેમણે કહ્યું કે જ્યાં સુધી પ્રતિકૂળ કબજાની અરજીનો સંબંધ છે, કેર ટેકર/નોકરે માલિકના કહેવાથી તાત્કાલિક કબજો આપવો પડશે.

(7:08 pm IST)