News of Friday, 25th September 2020
નવી દિલ્હી તા. ૨૫ : ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દુનિયાના બાકી દેશોને પાછળ છોડ્યા બાદ ભારત હવે અમેરિકા બાદ બીજા નંબરનો દેશ બની ગયો છે. કોરોનાને કાબૂમાં લેવા માટે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું અને આ પછી આર્થિક સ્થિતિને કાબૂમાં લેવા માટે અનલોકની શરૂઆત કરવામાં આવી. આવા કિસ્સામાં વાયરસને માત આપવા માટે દુનિયાના વિવિધ દેશોની સાથે ભારતમાં પણ રસીની પણ શોધ કરવામાં આવી રહી છે.
વાયરને કાબૂમાં લેવા માટે ટેસ્ટિંગથી લઈને રસીના રિસર્ચના કામ ચાલી રહ્યા છે ત્યારે વૈજ્ઞાનિકોનું માનવું છે કે રસી કયારે કાબૂમાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. કોરોનાને કાબૂમાં લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી ૬ મહિના પહેલા ૨૪ માર્ચના રોજ લોકડાઉનની જાહેરાત કરી હતી. લોકડાઉનમાં એક બીજાથી અંતર રાખવાથી કોરોના પર કાબૂ મેળવી શકાશે તેમ માનવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન દેશમાં કોરોનાના કેસ ૫૦૦થી વધુ હતા અને ૧૨ લોકોના મોત થયા હતા. જયારે હવે પોઝિટિવ આંકડો ૫૮ લાખને પાર થઈ ગયો છે અને કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો ૯૧,૧૪૯ થઈ ગયો છે.
દેશમાં કોરોના વાયરસના કેસનો સતત ફેલાવો વધી રહ્યો છે, રોજના ૧૦૦૦ જેટલા લોકો આ વાયરસના કારણે દેશમાં જીવ ગુમાવી રહ્યા છે. આવામાં અમેરિકાના અર્થશાસ્ત્રી અને કોરોના માહામારીના નિષ્ણાંત રામનન લક્ષ્મીનારાયણ જણાવે છે કે, દેશના તમામ ભાગોમાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. જયાં ટેસ્ટિંગ પૂરતા પ્રમાણમાં નથી થઈ રહ્યું ત્યાં કેસ ઓછો પ્રકાશમાં આવે છે. RT-PCR ટેસ્ટિંગમાં વધારો કરાય તો યુપી અને બિહાર જેવા રાજયોમાં કેસની સંખ્યા વધવાની સંભાવના છે.
સેન્ટર ફોર ડિસીઝ ડાયનેમિકસ, ઈકોનોમિકસ એન્ડ પોલિસી ઈન વોશિંગટનના ડિરેકટર રામનન લક્ષ્મીનારાયણ વધુમાં જણાવે છે કે, લોકો તકેદારી નહીં રાખે ત્યારે ભલે ધીમી ગતિએ ચેપમાં વધારો થતો હોય પણ તેના પર અંકુશ મેળવવો અઘરૃં થઈ જાય છે. તેમનું માનવું છે કે ભારતમાં પોપ્યુલેશન ઈમ્યુનિટી વધી રહી છે આવામાં આગામી સમયમાં કેસમાં ઘટાડો થવાની શરૂઆત થશે તેવી ધારણા બાંધવામાં આવી રહી છે. જેમને વાયરસને ચેપ લાગ્યો હોય તેઓ સાજા થઈ જાય પછી તેમને ફરી ચેપ લાગવાની શકયતા નથી. જોકે, આવા કેટલાક કિસ્સા જોવા મળી રહ્યા છે કે જેમણે વાયરસને માત આપી હોય તેમનામાં ફરી વાયરસના લક્ષણો જોવા મળી રહ્યા છે.
ભારતમાં લોકડાઉન જાહેર કરાયું ત્યારે ૧૮,૩૮૭ કોરોના ટેસ્ટિંગ કરાયું હતું જે આંકડો ૨૨ સપ્ટેમ્બર સુધીમાં વધીને ૬.૫ કરોડ કરતા વધુ લોકોના ટેસ્ટ કરાયા હતા. ભારતમાં મોટા પ્રમાણમાં દર્દીઓ કોરોના વાયરસને હરાવી રહ્યા છે જેથી ભારતનો રિકવરી રેટ વધીને ૮૧.૫૫% થયો છે. વાયરસ પર કાબૂ મેળવવા માટે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનો ફરજિયાત પણે ઉપયોગ કરવા માટે કહેવાઈ રહ્યું છે.