Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

રૂચિ સોયાઅે બાબા રામદેવની પતંજલિને આપ્યો જબરો ઝટકો

 

નવી દિલ્હી: યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિને સતત ઝટકા લાગી રહ્યા છે. પહેલા અહેવાલ આવ્યા હતા કે ગ્રોથના મામલે પતંજલિની ઝડપ રોકાવા લાગી છે અને હવે રૂચિ સોયાને ખરીદવાની તેની ઈચ્છા પણ પૂરી થતી નથી દેખાઈ રહી. હકીકતમાં, બેંકક્રપ્ટ્સી લૉનો સામનો કરી રહેલી રૂચિ સોયાના લેણદારોની સમિતિએ 96 ટકા મતદાન સાથે અદાણી વિલ્મરની બોલીને સ્વીકૃતિ આપી દીધી.

તો હવે કિચનમાં અદાણી ગ્રુપના ખાદ્ય પદાર્થો માટે થોડી જગ્યા બનાવી લો. ન્યૂટ્રિલા અને સનરિચ તેલ બનાવતી કંપની રૂચિ સોયા પણ અદાણીના હાથમાં વેચાવા જઈ રહી છે. તેના માટે અદાણી ગ્રુપ અને સિંગાપોરની કંપની વિલ્મર ઈન્ટરનેશનલના જોઈન્ટ વેન્ચર અદાણી વિલ્મર તરફથી લગાવાયેલી 6,000 કરોડની બોલી મંજૂર કરી લેવાઈ છે. હવે, રિઝોલ્યુશન પ્રોફેશનલને આગળ વધારવા માટે એનસીએલટીની મંજૂરી લેવી પડશે.

જોકે, પતંજલિ આયુર્વેદએ એનસીએલટીની મુંબઈ શાખામાં નિર્ણયનો વિરોધ કર્યો છે. સૂત્રો મુજબ, પતંજલિની ફરિયાદ પર 27 ઓગસ્ટે સુનાવણી થાય તેવી શક્યતા છે. સંપર્ક કરવા પર પતંજલિના પ્રવક્તા એસ. કે. તિજરાવાલાએ એવી ટિપ્પણી કરતા કંઈ કહેવાનો ઈનકાર કરી દીધો કે, મામલો હાલમાં ઓથોરિટીમાં છે. તો, અદાણી ગ્રુપના એક પ્રવક્તાએ પણ કંઈ કહેવાનો ઈનકાર કરી દીધો હતો.

અદાણી વિલ્મર 6,000 કરોડની બોલી સાથે પહેલા નંબરે આવી, જ્યારે 5,700 કરોડની બોલી સાથે પતંજલિ બીજા સ્થાને રહી. પહેલા પતંજલિ આયુર્વેદએ બોલી પ્રક્રિયામાં ભાગ લેવાની અદાણી ગ્રુપની યોગ્યતાને લઈને રુચિ સોયાના રિઝોલ્યુશન પ્રોફેશનલની સામે સવાલ ઊભા કર્યા હતા. તેણે રિઝોલ્યુશન પ્રોફેશનલને એમ પણ પૂછ્યું હતું કે, તેણે કયા આધાર પર અદાણી વિલ્મરને સૌથી મોટી બોલી લગાવનારી કંપની જાહેર કરી છે.

પતંજલિએ સિરિલ અમરચંદ મંગળદાસને રિઝોલ્યુશન પ્રોફેશનલના કાયદાકીય સલાહકાર જાહેર કરવા પર એમ કહેતા વાંધો ઉઠાવ્યો હતો કે તેઓ અદાણી ગ્રુપના સલાહકાર રહી ચૂક્યા છે. અદાણી વિલ્મરની 6,000 કરોડ રૂપિયાની બોલીની બરાબર કે તેનાથી વધુની બોલી લગાવવા માટે પતંજલિને 16 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જોકે, પતંજલિએ નવી બોલી લગાવવાને બદલે રિઝોલ્યુશન પ્રોફેશનલ્સને કેટલાક સવાલો કરી દીધા.

(6:00 pm IST)