Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

શહીદ જવાનના મૃતદેહ ઉપર લગ્નના કપડાં મૂકવામાં આવ્યા

પૂંચ જિલ્લામાં સુરંગ ફાટતાં સેનાનો જવાન શહીદ થયો : ત્રણ મહિના બાદ લગ્ન થવાના હતા પણ માતા પિતાની દીકરાને વરરાજા તરીકે જોવાની ઈચ્છા અધુરી રહી ગઈ

હમીરપુર, તા.૨૫ : શનિવારે જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં એલઓસી પાસે સુરંગ ફાટવાના કારણે ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો હતો.

હિમાચલ પ્રદેશના હમીરપુરનો રહેવાસી કમલદેવ ૨૦૧૫માં સેનામાં જોડાયો હતો અને તે ડોરા રેજિમેન્ટમાં સામેલ હતો. નિયંત્રણ રેખા પર ફરજ બજાવતા કમલદેવના ઓક્ટોબર મહિનામાં લગ્ન થવાના હતા પણ આજે તેનો પાર્થિવ દેહ વતન પાછો આવ્યો હતો.

તે શહીદ થયો તે પહેલા તેના ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને પરિવારજનો લાડકવાયાનો દેહ તિરંગામાં લપેટાયેલો જોઈને રડી પડ્યા હતા. ગામના તમામ લોકોની આંખમાં આંસુ હતા. પરિવારજનોએ શહીદના પાર્થિવ દેહ પર લગ્નના કપડા ભેટ મુક્યા હતા.

તાજેતરમાં તે રજા પર ઘરે આવ્યો હતો અને પછી પોતાની બટાલિયન સાથે જોડાયો હતો. ત્રણ મહિના બાદ તેના લગ્ન થવાના હતા પણ માતા પિતાની પોતાના દીકરાને વરરાજા તરીકે જોવાની ઈચ્છા અધુરી રહી ગઈ હતી.

(7:36 pm IST)