Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

"૨૨ કોર્પોરેટરોને નોટીસ દેવાનું કોઈ કારણજ નથી કે નથી આવી કોઈ વાત!" રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ શ્રી મહેશ રાજપૂતે, શ્રી ઇન્દ્રનીલ રાજયગુરૂના રાજીનામાં વિષે આપ્યો પ્રતિભાવ

રાજકોટ : રાજકોટના પૂર્વ ધારાસભ્ય શ્રી ઇન્દ્રનીલ રાજયગુરુએ જે કથીત ૨૨ કોર્પોરેટરો ને GPCC દ્વારા અપાનાર કથીત નોટીસના લીધે આજે રાજીનામું ફગાવ્યું છે, તે મામલે રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી મહેશ રાજપૂતે ખુલાસો કરતા અકીલાને જણાવ્યું હતું કે "આવી કોઇપણ નોટીસ ૨૨ કોર્પોરેટરોને આપવાનું કોઈ કારણજ નથી અને કાર્યકારી પ્રમુખ તરીકે આવી કોઈ વાત પણ GPCC સાથે નથી થઈ. ઇન્દ્રનીલભાઈ આવું કેમ કહે છે તેની અમને કઈ જાણ નથી."

સોમવારે સાંજે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય શ્રી ઇન્દ્રનીલ રાજયગુરુએ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી અચાનકજ રાજીનામું ફગાવી દેતા, સૌરાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ગરમાવો આવી ગયો છે. સાંજથી રાજીનામાની વાત સોશ્યલ મીડિયામાં આંધીની જેમ ફેલાય ગઈ હતી. તો આ પછી શ્રી ઇન્દ્રનીલભાઈના આ પગલાને અમુક કાર્યકરો સાચ્ચો હોવાનો અભિપ્રાય આપી રહ્યા હતા તો ઘણા કાર્યકરો તેમના આ પગલાને કોંગ્રેસને અતિશય નુકશાન પહોચાડનાર ગણાવી રહ્યા છે. હવે તો શ્રી ઇન્દ્રનીલભાઈ ભવિષ્યમાં કઈ દિશામાં આગળ વધશે એજ જોવાનું રહ્યું...

(11:45 pm IST)