Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

કાયદાનું પાલન કરનારા લોકો જ અધિકારનો દાવો કરી શકે છે

સુપ્રીમ કોર્ટની કડક ટિપ્‍પણી

નવી દિલ્‍હી તા. ૨૫ : મૂળભૂત અધિકારના નામે, કોઈપણ સુરક્ષા કવચ ફક્‍ત તે લોકોને જ મળી શકે છે જે નિયમોનું પાલન કરે છે અને કાયદાકીય પ્રક્રિયાનું સન્‍માન કરે છે. સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આ મહત્‍વપૂર્ણ ટિપ્‍પણી કરી હતી. મહારાષ્ટ્રના એક વ્‍યક્‍તિએ પોતાના પર MCOCA લાદવાના વિરોધમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે તેનાથી તેના મૂળભૂત અધિકારોને અસર થશે. આ અંગે ટિપ્‍પણી કરતા કોર્ટે કહ્યું કે ફરજ બજાવતા લોકોને જ મૂળભૂત અધિકારોના રક્ષણની કવચ મળી શકે છે. ન્‍યાયમૂર્તિ દિનેશ મહેશ્વરી અને અનિરૂદ્ધ બોઝની અદાલતે જણાવ્‍યું હતું કે, ‘જયારે સંબંધિત વ્‍યક્‍તિ પોતે કાયદાનું પાલન ન કરતી હોય ત્‍યારે મૂળભૂત અધિકારોનો દાવો ન્‍યાયી ઠેરવી શકાય નહીં.'

આરોપીએ કહ્યું કે ગેંગસ્‍ટર વિરોધી કાયદો લાગુ કરવામાં આવ્‍યો છે અને તેનાથી તેના મૂળભૂત અધિકારો પર ગંભીર અસર પડશે. ચુકાદો આપતાં જસ્‍ટિસ મહેશ્વરીએ લખ્‍યું, ‘જયાં સુધી આરોપીઓ સામે મકોકા કાયદાની અરજીનો સંબંધ છે, તો અમને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે જો કોઈ વ્‍યક્‍તિને ભાગેડુ જાહેર કરવામાં આવે અને તે તપાસ એજન્‍સીઓની પકડથી બહાર રહે તો તે. કાયદાનું સીધું ઉલ્લંઘન છે. આવી વ્‍યક્‍તિને કોઈ છૂટ આપી શકાય નહીં.' કોર્ટે કહ્યું કે સામાન્‍ય આરોપી ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૪૩૮ નો ઉલ્લેખ કરીને આગોતરા જામીન માટે કોર્ટનો સંપર્ક કરી શકે છે.

કોર્ટે કહ્યું કે જયારે આરોપી ભાગેડુ હોય ત્‍યારે આવું ન થઈ શકે. પોલીસ દ્વારા રીઢો ગુનેગાર જાહેર કરવામાં આવ્‍યો છે. આવી વ્‍યક્‍તિને કલમ ૪૩૮નો લાભ આપી શકાય નહીં. કોર્ટે કહ્યું કે બંધારણની કલમ ૧૩૬ હેઠળ અમને કલમ ૪૩૮ હેઠળ આરોપીઓની માંગણીઓ પર વિચાર કરવાનો અધિકાર મળે છે. પરંતુ અરજદાર સામે ગંભીર આરોપો હેઠળ કેસ નોંધાયેલ છે. આથી તેની અપીલ પર રાહત આપી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ભવિષ્‍યમાં આવનારા કેસ માટે એક ઉદાહરણ તરીકે જોઈ શકાય છે.

(4:07 pm IST)