Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

૧૪ રાજ્યમાં આગામી છ મહિનામાં પેટાચૂંટણી થશે

૪૯ ધારાસભ્ય લોકસભામાં પહોંચી ગયા છે : મહારાષ્ટ્રની છ, ઝારખંડની બે, હરિયાણાની ૧ બેઠક પર પેટાચૂંટણી નહીં થાય કારણ કે આ રાજ્યોમાં ચૂંટણી થશે

નવી દિલ્હી, તા. ૨૫ : લોકસભાની ચૂંટણીમાં ૪૯ ધારાસભ્યો, બે વિધાન પરિષદના સભ્યો અને ચાર રાજ્યસભાના સાંસદોએ જીત હાંસલ કરી છે. આની સાથે જ આવનાર થોડાક મહિનામાં જ ચૂંટણી પંચને ૧૬ રાજ્યમાં પેટાચૂંટણી કરાવવાની ફરજ પડી શકે છે. આ યાદીમાં ઉત્તરપ્રદેશનું નામ સૌથી વધારે છે જ્યાં ૧૧ ધારાસભ્યો સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. બિહારમાં પાંચ ધારાસભ્ય અને બે વિધાન પરિષદના સભ્યો ચૂંટાઈ આવ્યા છે. કુલ ૪૧ વિધાનસભા સીટો અને બે વિધાન પરિષદના સભ્યો માટે આગામી છ મહિનાની અંદર ચૂંટણી યોજાશે. કારણ કે, નવા ચૂંટાઈ આવેલા સાંસદોને રાજીનામુ આપવું પડશે. આમા ઓરિસ્સાની એવી બે વિધાનસભા સીટ પણ સામેલ છે જ્યાં મુખ્યમંત્રી નવીન પટનાયકને હિંજિલી કે બીજાપુર બેમાંથી કોઇ એકને પસંદગી કરવાની રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, મહારાષ્ટ્રની છ વિધાનસભા સીટ અને ઝારખંડની બે તથા હરિયાણાની એક સીટ પર પેટાચૂંટણી થશે નહીં. કારણ કે, ત્યાં આગામી છ મહિનામાં જ ચૂંટણી યોજાનાર છે. બીજી બાજુ સમાજવાદી પાર્ટી અને બસપા ગઠબંધનને ઉત્તરપ્રદેશમાં આવનાર છ મહિનામાં વધુ એક ટેસ્ટમાંથી નિકળવું પડશે. રાજ્યમાં કુલ ૧૧ સીટો ગોવિંદનગર, ટુંડલા, લખનૌ ગેટ, ગંગોહ, માણિકપુર, ઇગલાસ, જેતપુર, પ્રતાપગઢ, જલાલપુર અને રામપુરમાં પેટાચૂંટણી થશે. ત્રણ નવા સાંસદ રીટા બહુગુણા જોશી, સત્યદેવ પચૌરી અને એસપીસિંહ ઉત્તરપ્રદેશમાં વર્તમાન યોગી સરકારમાં મંત્રી તરીકે છે. બિહારમાં પણ પાંચ વિધાનસભા અને બે વિધાન પરિષદ સીટ પર આગામી છ મહિનામાં ચૂંટણી યોજાનાર છે. આ પાંચ સીટોમાં સિમરી, બખ્તીયારપુર, બેલહર, નાથનગર અને કિસનગંજનો સમાવેશ થાય છે. નીતિશ સરકારના ત્રણ મંત્રી રાજીવ રંજનસિંહ, દિનેશચંદ્ર યાદવ પણ ચૂંટણી જીતી ગયા છે. પશુપતિકુમાર પારસ જે એલજેપીના ઉમેદવાર છે તેઓ પણ ચૂંટણી જીતી ગયા છે. તેમને પણ રાજીનામુ આપવું પડશે. પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દેખાવ હંમેશા કમજોર રહ્યો છે પરંતુ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ જોરદાર દેખાવ જારી રાખ્યો છે. લોકસભામાં પહોંચેલા ૪૯ ધારાસભ્યોના કારણે ફરીવાર ચૂંટણી યોજાશે. ૧૪ રાજ્યમાં પેટાચૂંટણીને લઇને પણ ગઠબંધનની કસોટી થશે. લોકસભાની ચૂંટણીમાં માયાવતી અને અખિલેશની તમામ યોજનાઓ ફ્લોપ સાબિત થઇ છે અને તેમના જાતિય સમીકરણો કામ લાગ્યા નથી. મોદી લહેર વચ્ચે તેમના તમામ દાવા ખોટા પુરવાર થયા છે અને મોટાભાગની સીટો ગુમાવી દીધી છે. આવી સ્થિતિમાં તેમના માટે પેટાચૂંટણી વધુ એક ટેસ્ટ તરીકે રહેશે.

(7:51 pm IST)