Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

મોદીની વાપસીથી ડોન 'મિંદડી' બની ગયો

ડોનને લાગ્યું કે હવે બુરે દિન આવશેઃ ISIના ર અધિકારીઓને ફોન કરી ચિંતા દર્શાવીઃ મારૂ ધ્યાન રાખવા વિનંતી કરી

કરાંચી, તા.૨પઃ લોકસભાની ચૂંટણીના ૨૦૧૯ના પરિણામોમાં નરેન્દ્રભાઇ મોદીએ ડંકો વગાડતા પાકિસ્તાનમાં લપાઈને બેઠેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ કાસકરના પગની નીચેથી જમીન ખસી ગઈ છે. પાકિસ્તાન સરકાર અને આઈએસઆઈની સુરક્ષીત આડમાં ભરાઈને બેઠેલો દાઉદ રીતસરનો ફફડી ગયો છે તેમ ટોચની ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે.

સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે, ભારતમાં ચૂંટણી પરિણામો સામે આવ્યા બાદ ફફડી ઉઠેલા પોતાને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ ગુરૂવારે અડધી રાતે જ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના એક ટોચના અધિકારી અને બે નિવૃત્ત અધિકારીઓને ફોન કરીને પોતાની ચિંતા વ્યકત કરી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે દાઉદે આ વાતચીત દરમિયાન નરેન્દ્રભાઇ મોદીની વધતી લોકપ્રિયતા ઉપરાંત અમેરિકા અને ઈઝરાયેલ જેવા દેશો સાથે તેમની વધી રહેલા સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આઈએસઆઈ પાસે પોતાનો જીવ બચાવવા મદદ માંગી હતી.નિવૃત્ત આઈપીએસ અધિકારી પીકે જૈનના જણાવ્યા પ્રમાણે, ભાજપ સરકારના પુનરાગમનથી અનેક ઈન્ટરનેશનલ ઈકવેશન ચેંજ થઈ જશે. એક મજબુત સરકાર આવવાથી પાકિસ્તાન અને દાઉદ પર સાઈકોલોજીકલ પ્રેશર તો વધશે જ, પરંતુ દાઉદને ભારત લાવવામાં આવશે કે કેમ તે સરકાર પર નિર્ભર કરશે કે તે પાકિસ્તાન સરકાર પર કેટલું દબાણ ઉભુ કરી શકે છે. આમ તો ભારત સરકાર દાઉદને પરત લાવવા માટે ભરપુર પ્રયાસ કરશે. પાકિસ્તાનના અનેક રાજ દાઉદના દિલમાં દફન છે આ સ્થિતિમાં પાકિસ્તાન દાઉદને સોંપશે કે ભારતે તેને પકડી લેવો તે મુશ્કેલ છે, પરંતુ અશકય નથી. આ બધી જ બાબતો આવનાર સમય પર નિર્ભર કરે છે.

કેટલાક સૂત્રોનું કહેવું છે કે, દાઉદ ઈબ્રાહિમને એ વાતનો ભારોભાર ડર છે કે નરેન્દ્ર મોદી તેને પકડવા માટે કંઈ પણ કરી શકે છે. તેને આઈએસઆઈના અધિકારીઓને સચેત કર્યા છે કે નરેન્દ્ર મોદી કોઈ એવા ઓપરેશનને પણ અંજામ આપી શકે છે જેની આઈએસઆઈને ગંધ સુદ્ઘા નહીં આવે. અંડરવર્લ્ડ ડોને એ બાબતનો પણ ડર છે કે, અમેરિકાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદ પણ તેના વિરૂદ્ઘ કોઈ મોટી કાર્યવાહીમાં મોદી સરકારને મદદરૂપ થઈ શકે છે. આજ કારણે દાઉદ પોતાની સુરક્ષાને લઈને આઈએસઆઈ સામે કરગરી રહ્યો છે. સામે આઈએસઆઈના અધિકારીઓએ પણ દાઉદને આશ્વાસન આપ્યું છે કે તેઓ પોતાના ટોચના અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક બોલાવીને આ મામલે નિર્ણય લેશે.વરિષ્ઠ પત્રકાર એસ. બાલાકૃષ્ણનના જણાવ્યા પ્રમાણે અજીત ડોભાલ અગાઉ જ દાઉદની ડી-કંપનીને લઈને કામ કરી ચુકયા છે. મોદી સરકાર પાર્ટ-૨ છે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ધાક જમાવી છે. કદાચ દાઉદનું બચવું હવે મુશ્કેલ છે. કોઈને કોઈ ઓપરેશન કે અન્ય રસ્તો અપનાવીને ડી કંપનીનું કામ તમામ થઈ શકે છે. દાઉદને સોંપવાની પાકિસ્તાન આનાકાની કરશે, પરંતુ તે દાઉદને બીજે કયાંક જવાની સલાહ આપી શકે છે. આ સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય દેશો સાથે મળીને ભારત ગુપ્ત ઓપરેશનને અંજામ આપી શકે છે

(3:16 pm IST)