Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

રાહુલ ગાંધીના રાજીનામાની ઓફરને કારોબારીએ અંતે ફગાવી દીધી

દેશભરમાં કારમી હાર માટેની જવાબદારી રાહુલ ગાંધીએ સ્વીકારી : કોંગ્રેસ પાર્ટીને રાહુલ ગાંધીની જરૂર હોવાની સંમતિથી વાત સ્પષ્ટપણે રજૂ કરવામાં આવી : જવાબદાર અને રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવવા કોંગ્રેસ તૈયાર

નવીદિલ્હી, તા. ૨૫ : લોકસભાની ચૂંટણીમાં દેશભરમાં કારમી હારની જવાબદારી સ્વીકારીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે રાજીનામાની ઓફર કરી હતી પરંતુ પાર્ટીની કારોબારી સમિતિએ તેમની ઓફરને ફગાવીદીધી હતી અને કહ્યું હતું કે, પાર્ટીને રાહુલ ગાંધીની જરૂર છે. રાહુલ ગાંધીને પાર્ટીમાં તમામ જરૂરી સુધારા અને ફેરફાર કરવાની પણ સત્તા પણ આપવામાં આવી છે. બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસના મિડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ અન્ય નેતાઓની સાથે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે, રાહુલની ઓફરને સર્વસંમતિથી ફગાવી દેવામાં આવી હતી. કાર્યસમિતિમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કાર્યસમિતિએ રાહુલ ગાંધીને એમ કહીને પાર્ટીના રચનાત્મક માળખામાં ધરખમ ફેરફાર કરવા માટે પણ સત્તા સોંપી હતી. પાર્ટીને યોગ્ય પરિસ્થિતિમાં નેતૃત્વની જરૂર હોવાની વાત પણ કરવામાં આવી હતી. સુરજેવાલાએ કહ્યં હતું કોંગ્રેસ ૨૦૧૯ના જનાદેશને વિનમ્રતાથી સ્વીકાર કરે છે અને તેઓ જવાબદાર અને રચનાત્મક વિપક્ષની ભૂમિકા માટે તૈયાર છે. કોંગ્રેસ કારોબારીની બેઠક બાદ મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, બેઠકમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. પસાર કરવામાં આવેલા પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે, કાર્યસમિતિ ૨૦૧૯ના જનાદેશને વિનમ્રતાથી સ્વીકાર કરે છે. કોંગ્રેસ કારોબારી સમિતિ ૧૨.૧૩ કરોડ સાહસી અને સજાગ મતદારોનો પણ આભાર માને છે જે લોકોએ કોંગ્રેસ પાર્ટીમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરે છે. કોંગ્રેસ પાર્ટી એક જવાબદાર અને રચનાત્મક વિપક્ષની ભૂમિકા અદા કરશે. દેશવાસિઓની સમસ્યાઓને રજૂ કરીને તેમની સરકાર પ્રત્યે જવાબદારી પણ યાદ અપાવશે. રાહુલના રાજીનામાની ઓફરને અસ્વીકાર કરનાર પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કારોબારી સમક્ષ અધ્યક્ષપદેથી રાજીનામુ આપવાની ઓફર કરી હતી પરંતુ કારોબારીના સભ્યોએ સર્વસંમતિથી એક સ્વરમાં રાહુલ ગાંધીની ઓફરને ફગાવી દીધી હતી. પ્રતિકુળ અને પડકારરુપ પરીસ્થિતિમાં પાર્ટીને રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટી આગળ વધે તે જરૂરી છે. કોંગ્રેસ કારોબારી સમિતિએ રાહુલ ગાંધીને દેશના યુવાનો, ખેડૂતો, મહિલાઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત જાતિઓ, શોષિતો અને વંચિતોની સમસ્યાઓને આગળ આવીને ઉકેલવાની દિશામાં કામ કરવાની વાત કરવામાં આવી છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ કારોબારી કેવા પડકારો, નિષ્ફળતાઓ અને નબળાઈઓનો સ્વીકાર કરે છે જેના કારણે આ પ્રકારનો જનાદેશ આવ્યો છે. કોંગ્રેસ કારોબારી સમિતિ પાર્ટીના દરેક સ્તર ઉપર સંપૂર્ણ આત્મચિંતનની સાથે કોંગ્રેસ અધ્યક્ષને અધિકૃત કરે છે તેઓ પાર્ટીના રચનાત્મક માળખામાં ફેરફાર કરે અને વિસ્તૃત ફેર રચના કરે. આના માટે યોજના ટૂંક સમયમાં જ લાગૂ કરાશે. કોંગ્રેસ પાર્ટી ચૂંટણી હારી છે પરંતુ અમારી સાહસી ગતિવિધિ જારી રહેશે. કોંગ્રેસ પાર્ટી નફરત અને વિભાજનની તાકાતોનો સામનો કરવા તૈયાર છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ કારોબારી અધ્યક્ષ, પાર્ટીના હોદ્દેદારો અને નેતાઓ, પાર્ટીના કાર્યકરો અને કોંગ્રેસ ઉમેદવારો પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. રાહુલની ઓફિસની ટીમને લઇને પણ પ્રશ્નો થઇ રહ્યા છે. સુત્રોના કહેવા મુજબ કારોબારીની બેઠકમાં રાહુલની ટીમને લઇને પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

 સિનિયર નેતાઓએ કહ્યું હતું કે, જો તમે નવા લોકોને રાખવા માંગો છો રાખી શકો છે પરંતુ પોતાની ટીમમાં રાજકીય લોકોને રાખવાની જરૂર છે. રાહુલ ગાંધીની ઓફિસના લોકો નિર્ણય કરે છે પરંતુ તેમને રાજકીય સમજ શક્તિ નથી.

(7:47 pm IST)