Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

બહુમતી પરીક્ષણ પહેલા ભારે ધાંધલ : ભાજપનો વોકઆઉટ

ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરવા માંગણી : કોંગ્રેસના રમેશકુમાર સર્વસંમતિથી સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા : કર્ણાટકમાં હજુ રાજકીય ગરમી રહે તેવા સંકેતો

બેંગ્લોર, તા. ૨૫ : કર્ણાટક વિધાનસભામાં આજે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ બહુમતિ મેળવી લીધી હતી. આ ગાળા દરમિયાન ભારે ધાંધલ ધમાલ થઇ હતી. ભાજપના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યો હતો. વિધાનસભામાં ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ કુમારસ્વામી ઉપર પ્રહારો કર્યા હતા. કુમારસ્વામીએ કહ્યું હતું કે, ૨૭મી મેથી રાજ્યવ્યાપી બંધ પાળવામાં આવશે. આ પહેલા વિધાનસભામાં ભાજપે છેલ્લી ઘડીએ સ્પીકર માટે પોતાના ઉમેદવારનું નામ પરત ખેંચી લીધું હતું. ત્યારબાદ કોંગ્રેસના રમેશકુમારને સર્વસંમતિથી સ્પીકર ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આને ફ્લોર ટેસ્ટ પહેલા કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન માટે જીત તરીકે જોવામાં આવી રહી હતી. કોંગ્રેસ જેડીએસ ગઠબંધન સરકારની સામે ભાજપ શાંતિથી બેસનાર નથી. યેદીયુરપ્પાએ કહ્યું હતું કે, અમે ઉમેદવારનું નામ પરત ખેંચી રહ્યા છે કારણ કે, અમે સ્પીકર પદની ગરિમા જાળવવા ઇચ્છુક છીએ. ફ્લોરટેસ્ટ મારફતે કુમારસ્વામીએ વિશ્વાસમત જીતી લીધો હતો પરંતુ સરકાર સામે આગામી દિવસો ખુબ પડકારરુપ રહી શકે છે. ૧૨મી મેના દિવસે મતદાન થયા બાદ ૧૫મીએ પરિણામ જાહેર થયા હતા.

ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. તેને ૧૦૪ સીટો મળી હતી પરંતુ બહુમતિના આંકડાથી આઠ સીટો પાછળ રહી ગઈ હતી. સાદી બહુમતિનો આંકડો ૧૧૨ હતો. સરકાર રચવા માટે તેને આમંત્રણ અપાયું હતું પરંતુ છેલ્લી ઘડીએ યેદીયુરપ્પાએ બહુમતિનો આંકડો ન મળતા રાજીનામુ આપી દીધું હતું. કોંગ્રેસની ૭૮ અને જેડીએસની ૩૭ સીટ રહેલી છે. બે અપક્ષ ઉમેદવારો પણ છે. આની સાથે તેમના કુલ ૧૧૭ ઉમેદવારો થયા છે.

(7:46 pm IST)