Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

કર્ણાટકમાં શ્વાસ થંભાવી દેતો 'વિશ્વાસ'નો ખેલ

વિશ્વાસ મેળવ્યા બાદ સ્પીકરની ચૂંટણીમાં કુમારની કસોટી થશેઃ કુમાર સ્વામી સરકાર વિશ્વાસ મત મેળવી રહી છે : ધારાસભ્યો હોટલમાંથી ગૃહ તરફ પહોંચ્યા : રોમાંચક સ્થિતિ સ્પીકરની ચૂંટણી લડવા ભાજપની ઘોષણા

બેંગલુરૂ તા. ૨૫ : કર્ણાટકમાં મુખ્યમંત્રી પદે બિરાજેલા એચડી કુમારસ્વામીના વિશ્વાસ અને શકિતનું ખરૃં પરીક્ષણ થઇ રહ્યું છે. કોંગ્રેસ સાથે જોડાણ કરીને યુતિ સરકાર બનાવનાર કુ્મારસ્વામી માટે આજનો દિવસ લિટમસ ટેસ્ટનો દિવસ સાબિત થશે કેમકે, ભાજપે હજુ પણ તેની લડત રાખી છે.

શ્વાસ થંભાવી દે તેવો વિશ્વાસનો ખેલ ચાલે છે. પાંચ દિવસથી હોટલમાં બંધ કોંગ્રેસ - જેડીએસના ધારાસભ્યો ગૃહમાં પહોંચ્યા છે. રોમાંચક સ્થિતિ જામી છે.

આજે વિશ્વાસ જીતી લીધા પછી પણ કુમાર સ્વામીને શાંતિ નહિ રહે, ભાજપે સ્પીકરની ચૂંટણી લડવા ઘોષણા કરી છે. ભાજપે સ્પીકર પદની ચૂંટણી લડવાની તૈયારી કરી છે. ભાજપની આક્રમકતાને કારણે કોંગ્રેસ અને જેડી-એસમાં હજુ પણ ડર છે અને તેના ધારાસભ્યોની તોડફોડ થાય તેવી શંકા છે. તેના કારણે જ હજુ પણ બંને પાર્ટીના ધારાસભ્યોને હોટેલમાં કેદ રખાયા છે. તેમને હજુ સુધી તેમના ઘરે જવા દેવાયા નથી. છેલ્લાં નવ દિવસથી જનતાના ચૂંટાયેલા આ તમામ પ્રતિનિધિઓ રિસોર્ટમાં જ છે. વર્તમાન ગણિત અને સંજોગો જોતા કુમારસ્વામી શુક્રવારે સરળતાથી બહુમતી પુરવાર કરી શકશે, પરંતુ તેમ છતાં બન્ને શાસક પક્ષો કોઈ ચાન્સ લેવા માગતા નથી. કોંગ્રેસે તેના તમામ ધારાસભ્યોને ડોમલુર ખાતે હિલ્ટન એમ્બસી ગોલ્ફલિંકસમાં રાખ્યા છે, જયારે જેડી-એસના તમામ ધારાસભ્યોને દેવનાહેલિયન નજીક પ્રેસ્ટિજ ગોલ્ફશાયર રિસોર્ટ ખાતે રાખવામાં આવ્યા છે.

કર્ણાટકની ચૂંટણીના પરિણામ ૧૫ મેએ જાહેર થયા અને ત્રિશંકુ વિધાનસભા રચાઈ ત્યારથી આ તમામ ધારાસભ્યોને એક સાથે વૈભવી રિસોર્ટ અને હોટેલમાં રાખવામાં આવ્યા છે. તમામ ધારાસભ્યો તેમના પરિવારથી દૂર છે. એવા પણ અહેવાલ હતા કે તેમને ફોન પણ રાખવા દેવાયા નથી. આથી પરિવાર સાથે વાતચીત પણ કરી શકયા નથી. જોકે કોંગ્રેસ અને જેડી-એસના નેતાઓ આ અહેવાલને નકારી રહ્યા છે. અહેવાલો મુજબ કેટલાક ધારાસભ્યોએ ઘરે જવા માટે આજીજી કરી હતી, પરંતુ તેમની વિનંતી ફગાવી દેવાઈ હતી. ધારાસભ્યોને મીડિયાથી પણ દૂર જ રાખવામાં આવ્યા છે. આથી આવા દાવામાં કેટલું તથ્ય છે તે પણ હાલ બહાર આવ્યું નથી.ઙ્ગ

કર્ણાટકમાં સત્તા હાથમાંથી ગયા પછી ભાજપે હવે વિધાનસભાના સ્પીકરપદ માટે તેના સીનિયર નેતા એસ. સુરેશકુમારને ઉમેદવાર બનાવ્યા છે. સ્પીકરપદ માટે શુક્રવારે ચૂંટણી યોજાશે. આમ, કુમારસ્વામી સરકાર વિશ્વાસ મત મેળવે તે પહેલાં તેમની વધુ એક કસોટી થશે. સુરેશકુમાર બેંગલુરુથી પાંચ ટર્મથી ચૂંટાતા આવ્યા છે. તેમણે ગુરુવારે વિધાનસભાના સચિવ એસ. મૂર્તિ સમક્ષ ઉમેદવારીપત્ર ભર્યું હતું.

સુરેશકુમારે કહ્યું હતું કે ભાજપના પ્રદેશ પ્રમુખ બી.એસ. યેદ્દીયુરપ્પા અને અન્ય નેતાઓના કહેવાથી તેમણે ઉમેદવારીપત્ર ભર્યું છે. તેમણે કહ્યું કે 'સંખ્યાબળ અને વિવિધ પરિબળોને ધ્યાનમાં લેતા અમારા નેતાઓને વિશ્વાસ છે કે હું જ જીતીશ. આ વિશ્વાસ સાથે મેં ઉમેદવારી કરી છે.' શાસક કોંગ્રેસ-જેડી-એસે સંયુકત રીતે કોંગ્રેસના રમેશકુમારને સ્પીકરપદ માટે ઉમેદવાર બનાવ્યા છે. રમેશકુમાર અગાઉ પણ સ્પીકર રહી ચૂકયા છે. તેમણે પણ ગુરુવારે ઉમેદવારીપત્ર ભરી દીધું હતું.(૨૧.૧૨)

(11:08 am IST)