Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

વૈષ્ણો દેવીનાં જંગલોમાં પહોંચી ઉત્તરાખંડની આગની જવાળાઓ ત્રિકુટાનો પહાડ ધુમાડામાં ઢંકાઈ ગયો :હજારો શ્રદ્ધાળુઓ ફસાયા

હિમકોટનાં જંગલોમાં આગ લાગી : શ્રદ્ધાળુઓને શ્વાસ લેવામાં તકલીફ : કટરાથી ભવન સુધી વૈષ્ણો દેવી યાત્રાને અટકાવાઈ :એરફોર્સ મદદે

 

ઉત્તરાખંડનાં જંગલોમાં ફેલાયેલી આગ દિવસે ને દિવસે વિકરાળ બની રહી છે. અને સતત ફેલાતી જઈ રહી છે જંગલોમાં લાગેલી આગને પગલે ચાર દિવસનો રેડ એલર્ટ આપવામાં આવ્યો છે. ઉત્તરાખંડનાં જંગલોમાં લાગેલી આગ હવે હિમાચલથી જમ્મુ કાશ્મીર પહોંચી છે. જમ્મુ-કાશ્મીરમાં માતા વૈષ્ણો દેવી મંદિરની નજીક સુધી આગની જ્વાળા પહોંચી ગઈ છે. ત્રિકુટા પહાડ આગના ધુમાડામાં ઢંકાઈ ગયો છે. ચાર ધામ યાત્રા પર પણ તેની અસર જોવા મળી રહી છે.

    અધિકારીઓના જણાવાયા મુજબ ગઢવાલનું 524 હેક્ટરનું જંગલ આગની ચપેટમાં આવી ચૂક્યું છે અને કુમાઉંમાં લગભગ 500 હેક્ટરના વિસ્તારમાં આગ ફેલાઈ ચૂકી છે. આગ ઓલવવા માટે એનડીઆરએફ, આર્મી, સ્થાનિક તંત્ર ઉપરાંત સ્થાનિક લોકોની પણ મદદ લેવામાં આવી રહી છે. 4000થી વધુ કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવાની જહેમત કરી રહ્યા છે. પહાડોની ચારે તરફ ધુમાડો ફેલાઈ ગયો છે. આગને કારણે શ્રીનગરનું તાપમાન 38 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે.

   સિવાય જમ્મુ વિસ્તારોમાં વૈષ્ણો દેવીના પહાડો પર હિમકોટનાં જંગલોમાં આગ લાગી છે. માતાનાં દર્શન માટે આવી રહેલા શ્રદ્ધાળુઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, કટરાથી ભવન સુધી વૈષ્ણો દેવી યાત્રાને અટકાવવી પડી છે. સ્થાનિક તંત્ર પાણીના છંટકાવ માટે ઇન્ડિયન એરફોર્સની મદદ લઈ રહ્યું છે. હેલિકોપ્ટર્સ પણ કામમાં મદદ કરી રહ્યાં છે. બીજી તરફ શ્રાઇન બોર્ડના કર્મચારીઓ પણ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

   આગની ઘટના મોડી રાતે તારા કોટ માર્ગથી લગભગ 1 કિલોમીટર દૂર ગુડ્ડીધાર વિસ્તારમાં બની હતી. પવનને કારણે જોતજોતામાં તે એક કિલોમીટરના વિસ્તાર સુધી ફેલાઈ ગઈ હતી. પહેલાં જંગલોમાં ઘણી વાર આગ લાગી ચૂકી છે. ગયા વર્ષે મેમાં પણ જંગલોમાં આગ લાગી હતી.

   સ્થાનિક અધિકારીઓના જણાવ્યાનુસાર, જંગલોમાં આગ લાગી છે, પરંતુ ટ્રેકને હાલ કોઈ નુકસાન થયું નથી. આગ ઓલવવા માટે ઇન્ડિયન એરફોર્સનાં હેલિકોપ્ટર્સને સ્ટેન્ડબાય રખાયાં છે. માત્ર કટરા નહિ, પણ જમ્મુ કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં પણ જંગલોમાં આગ લાગી છે. નૌશેરા સેક્ટરમાં આવનારા કિલા ધરાલનાં જંગલોમાં પણ આગ લાગી છે.

(12:28 am IST)