Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

સ્વ. કુસુમબેન નાનકભાઇ મેઘાણીની ૮૧મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ અને ચોટીલા ખાતે 'ભાવાંજલિ' અર્પણ થશે

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્રવધૂ અને પિનાકી મેઘાણીના માતા

૨૬ એપ્રિલ ૨૦૧૯ ને શુક્રવારે — સાંજે ૬ કલાકે અમદાવાદ સ્થિત નિવાસસ્થાન (પાર્થસારથી એવેન્યૂ, ૯૦૩, કાન્હા, બિલેશ્વર મહાદેવની સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઈટ) ખાતે 'સ્વરાંજલિ' કાર્યક્ર્મનું આયોજન કરાયું છે. સ્વ. કુસુમબેન મેઘાણી પ્રત્યે સવિશેષ આદર અને લાગણી ધરાવતાં ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસ મેઘાણી-ગીતો થકી અંજલિ આપશે. બીજે દિવસે — ૨૭ એપ્રિલ ને શનિવારે — સવારે ૧૧.૩૦ કલાકે ચોટીલા સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં ઐતિહાસિક જન્મસ્થળ ખાતે ભાવાંજલિ અર્પણ થશે. જન્મસ્થળની સામે આવેલ સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે 'મેઘાણી-સાહિત્ય' કોર્નરની સ્થાપના ગુજરાત સરકારનાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ વિભાગનું ગ્રંથાલય ખાતુંનાં સૌજન્યથી થશે. વધુ વિગત માટે પિનાકી મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)નો સંપર્ક કરી શકાશે.

૮૦ વર્ષની વયે ૬ નવેમ્બર ૨૦૧૮ના રોજ કુસુમબેન મેઘાણીએ આપણી વચ્ચેથી અણધારી વિદાય લીધી. પ્રાધ્યાપક રહી ચૂકેલાં કુસુમબેન પુત્ર પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનાં સતત પથદર્શક રહ્યાં હતાં. ઝવેરચંદ મેઘાણીની અધિકૃત અને માહિતીસભર વેબસાઈટ www.jhaverchandmeghani.comનાં સંશોધન માટે પિનાકીભાઈ સાથે ગુજરાત-રાજસ્થાનનો સઘન પ્રવાસ કર્યો હતો. દરેક કાર્યક્ર્મમાં ઉત્સાહભેર ઉપસ્થિત રહે. 'મેઘાણીગાથા', 'કસુંબીનો રંગ'પુસ્તકો તેમજ 'ઘાયલ મરતાં મરતાં રે', 'રઢિયાળી રાત', 'સોરઠી સંતવાણી' મ્યૂઝીક સીડીનાં સંકલનમાં પણ સવિશેષ પ્રેરણા આપી હતી. યુવાવસ્થામાં પતિ નાનકભાઈ મેઘાણી સંચાલિત રાજકોટ સ્થિત 'સાહિત્ય મિલાપ'ગ્રંથભંડારમાં પણ સક્રીય હતાં. જે સમયે કન્યા કેળવણીનું પ્રમાણ ખૂબ ઓછું હતું ત્યારે ભાવનગર ખાતે જન્મેલાં કુસુમબેન મેઘાણીએ એમ.એ. - બી.એડ.નો ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કર્યો હતો. માતા લક્ષ્મીબેન અને પિતા ત્રિભુવનદાસ શાહની પ્રેરણાથી શાળા-કોલેજ દરમિયાન અભ્યાસ ઉપરાંત કલા અને રમતગમત ક્ષેત્રે પણ અનેક સિધ્ધિઓ હાંસલ કરી હતી. ૧૯૫૯માં દિલ્હીનાં તાલકટોરા ગાર્ડન ખાતે યોજાયેલ ઓલ-ઈન્ડિયા યુથ ફેસ્ટીવલમાં ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત 'રઢિયાળી રાત'નાં પ્રાચીન રાસ-ગરબા-લોકગીતો ગુંજયાં હતાં. ભાવનગરની શામળદાસ કોલેજનાં ૧૨ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ દેશની ૩૭ યુનિવર્સિટીઓમાં લોક-નૃત્યમાં પ્રથમ ક્ર્મ પ્રાપ્ત કર્યો હતો. શામળદાસ કોલેજમાં જુનિયર બી.એ.માં ત્યારે અભ્યાસ કરતાં કુસુમબેન આ વિજેતા ટીમમાં શામેલ હતાં. દેશના પ્રથમ પ્રધાન મંત્રી પંડીત જવાહરલાલ નહેરૂએ વિજેતા ટીમનું સન્માન કર્યું હતું. એન.સી.સી.માં બેસ્ટ કેડેટ તરીકે પણ પસંદગી પામેલા. ત્રણ ટર્મ સુધી લોકસભાનાં સાંસદ રહી ચૂકેલાં મોટા બહેન જયાબેન શાહની પ્રેરણાથી બચપણમાં આઝાદીની ચળવળમાં પણ રસ લેતા. નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી, મોરારજીભાઈ દેસાઈ, ઈન્દિરાબેન ગાંધી સહિત દેશનાં પાંચ પ્રધાન મંત્રીને પ્રત્યક્ષ મળવાનો અવસર કુસુમબેનને પ્રાપ્ત થયો હતો જે ખાસ ઉલ્લેખનીય છે.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

(11:31 am IST)