Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

૧૩ ટેરર ફાયનાન્સરોની ઓળખ કરાઈ : આક્રમક કાર્યવાહીનો દોર

ત્રાસવાદીઓ અને પથ્થરબાજોને નાણાં આપનારની ઓળખ થઈ : હિઝબુલના લીડર સૈયદ સલાઉદ્દીન, હુર્રિયત નેતાઓ અને અન્ય કટ્ટરપંથીઓ કાશ્મીરમાં રક્તપાત સર્જવા મોટાપાયે નાણાં આપવાની ગતિવિધિમાં સામેલ

જમ્મુ, તા.૨૪ : ટેરર ફાઈનાન્સીયરોની સામે આક્રમક કાર્યવાહીનો દોર જારી રહ્યો છે. સુરક્ષા સંસ્થાઓ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદના નેટવર્કને તોડી પાડવા માટે આક્રમક કાર્યવાહી યથાવત રીતે જારી રાખી છે. આના ભાગરૂપે સુરક્ષા સંસ્થાઓએ આતંકવાદીઓને ફંડ આપાનાર ફાઈનાન્સરોની ઓળખ કરી લીધી છે. આવા ૧૩ લોકોની ઓળખ કરવામાં આવી છે જે આતંકવાદીઓ અને પથ્થરબાજોને નાણાં આપી રહ્યા છે. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના ઈશારે આતંકવાદીઓ અને પથ્થરબાજોને આ લોકો નાણાં ઉપલબ્ધ કરાવી રહ્યા છે. જે ૧૩ લોકોની ઓળખ કરવામાં આવી છે તેમાં હિઝબુલના સ્થાપક લીડર સૈયદ સલાઉદ્દીન, કટ્ટરપંથી હુર્રિયતના નેતાઓ અને અન્ય કટ્ટરપંથી કારોબારીઓનો સમાવેશ થાય છે. આજે રવિવારના દિવસે અધિકારીઓ દ્વારા આ મુજબનો દાવો કરાયો હતો. અધિકારીઓએ કહ્યું હતું કે મોટાપાયે ટેરર ફાઈનાન્સિયરો સાથે જોડાયેલી સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. કેન્દ્ર સરકારે ૧૩ વ્યક્તિગતોને ઓળખી કાઢવામાં આવ્યા છે. તેમની સંપત્તિ પણ ઓળખી કાઢવામાં આવી છે. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા આ આતંકવાદીો અને તેમની સપંત્તિને ઓળખી કાઢવામાં આવ્યા બાદ કાર્યવાહી ચાલી રહી છે. જે વ્યક્તિગતોની ઓળખ કરવામાં આવી છે તેમાં લશ્કરે તોયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના ટોપ આતંકવાદીઓ પણ સામેલ છે. હુર્રિયત લીડરો પણ સામેલ છે. ત્રાસવાદીઓ અને પથ્થરબાજોને ચોક્કસ પૈસા આપીને અંધાધૂંધી ફેલાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. આતંકવાદી ગતિવિધિમાં સામેલ થવા યુવાનોને સામેલ કરવા, તેમને ગેરમાર્ગે દોરવા માટે કાશ્મીર સ્થિતિ ત્રાસવાદી સંગઠનોના નેતાઓને નાણાં આપવામાં આવે છે. સુરક્ષા દળો, સુરક્ષા દળોના કેમ્પ અને કાફલા પર હુમલો કરવા સહિત આતંકવાદી સંગઠનોની ઓપરેશન ગતિવિધિ માટે આ નાણાં આપવામાં આવે છે. હુર્રિયત કોન્ફરન્સના કટ્ટરપંથીઓ પણ આમાં સામેલ રહ્યા છે. હુર્રિયતની ટોપ લીડરશીપને જાળવી રાખવા માટે આ ફંડ આપવામાં આવે છે. સોશિયલ મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કટ્ટરપંથીઓની ઓળખ કરી લેવામાં આવી છે. તેમના ઉપર પણ ઘણા નિયંત્રણો લાગુ કરાયા છે. હવાલા મારફતે આ લોકો સુધી નાણાં પહોંચે છે.

 આ પ્રકારની ગતિવિધિ પર સંપૂર્ણપણે બ્રેક મુકવા સુરક્ષા સંસ્થાઓ કાર્યવાહી કરી રહી છે. કટ્ટરપંથીઓની સુરક્ષા હાલમાં જ પાછી ખેંચી લેવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં તપાસ ચાલી રહી છે. જેના ભાગરૂપે ટેરર ફન્ડીંગની ગતિવિધિ તરીકે સાત કરોડ રૂપિયાની ઓળખ કરી લેવામાં આવી છે.

 

(12:00 am IST)