Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

PNB કાંડની ઈફેક્ટ :ફેબ્રુઆરીમાં ફેબ્રુઆરીમાં વિદેશી રોકાણકારોને 10,000 કરોડનું મૂડીરોકાણ પાછું ખેંચ્યું

જાન્યુઆરીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં 13,780 કરોડનો મૂડીપ્રવાહ ઠાલવ્યો હતો

નવી દિલ્હી: PNB કાંડ અને વૈશ્વિક શેરબજારોની નરમાઈને પગલે વિદેશી રોકાણકારોએ (FPIs) ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં10,000 કરોડ (USD 1.5 અબજ)નું મૂડીરોકાણ પાછું ખેંચી લીધું છે ડિપોઝિટરીના લેટેસ્ટ ડેટા પરથી જાણવા મળ્યું હતું કે,જાન્યુઆરીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં 13,780 કરોડનો મૂડીપ્રવાહ ઠાલવ્યો હતો.

   જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે કહ્યું હતું કે, સ્થાનિક ઘટનાક્રમની રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. આ ઉપરાંત ક્રૂડના ભાવમાં વધારાથી રાજકોષીય સ્થિતિ પર ખરાબ અસરના ભયે રોકાણકારો વધુ સાવધ બન્યા હતા.

   અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 14 ફેબ્રુઆરીએ PNB જ્વેલર્સ નિરવ મોદી અને મેહુલ ચોક્સીને સંડોવતાં 11,400 કરોડના કૌભાંડની જાહેરાત કરી હતી. ડિપોઝિટરીઝના આંકડા મુજબ FPIs1-23 ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન ભારતીય ઈક્વિટીમાંથી 9,899 કરોડ (USD 1.5 અબજ)નું મૂડીરોકાણ પરત ખેંચી લીધું છે.

  જોકે, સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન FPIsએ ડેટ સાધનોમાં 1,500 કરોડનું મૂડીરોકાણ કર્યું છે.ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ ગ્રોના સંસ્થાપક અને COO હર્ષ જૈને જણાવ્યું હતું કે, અમેરિકામાં બેરોજગારીનો દર 4.1 ટકાના 17 વર્ષના તળિયે આવી ગયો છે. આ ઉપરાંત ફુગાવાને અંકુશમાં રાખવા યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા છે. આ સ્થિતિમાં વૈશ્વિક બજારોમાં આપણે વેચવાલીનું આક્રમણ જોયું હતું. ભારતીય માર્કેટમાંથી પણ FPIsએ આ જ કારણોસર મૂડીરોકાણ પરત ખેંચી લીધું હતું.

   ભારતમાં બજેટની તાજેતરની જાહેરાતમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગુ થવાથી તેમજ FPIs માટે નવા સ્થાનિક નિયમોના પાલન કરવાની જવાબદારીથી FPIsએ ભારતીય માર્કેટમાંથી નફો બૂક કરવાનું પસંદ કર્યું હતું, તેમ ઈન્ટેલીક્સ સ્ટોક્સના ચીફ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર નલિની જિંદાલે જણાવ્યું હતું.

(9:21 pm IST)