Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ફિરોઝાબાદમાં ઘરમાં ઘૂસીને છાત્રાની ગોળી મારી હત્યા

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ શહેરની ઘટના : ત્રણ અજાણ્યા શખ્સો યુવતીના મકાનમાં ઘૂસી ગયા અને ગોળી ધરબી દઇને નાસી ગયા : પોલીસ તપાસ જારી

ફિરોઝાબાદ,તા.૨૪ : ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં રસૂલપુર પોલીસ સ્ટેશન હેઠળ આવતા પ્રેમ નગરમાં અમુક બદમાશોએ ઘરમાં ઘૂસીને એક વિદ્યાર્થિનીની ગોળી મારીને હત્યા કરી નાખી છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ મામલે તપાસ કરી રહી છે. ઘટના પાછળનું કારણ છેડતીનો વિરોધ કરવાનું જણાવવામાં આવી રહ્યું છે. કેસમાં મૃતકના પિતાએ ત્રણ યુવકના નામ આપ્યા છે. પોલીસે દાવો કર્યો છે કે ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવશે. શુક્રવારે રાત્રે ફિરોઝાબાદમાં હાહાકાર મચી ગયો હતો. કારણ કે ત્રણ બદમાશોએ ઘરમાં ઘૂસીને એક વિદ્યાર્થિનીને ગોળી મારી દીધી હતી. ત્રણેય બદમાશો ૧૬ વર્ષની કિશોરીના ઘરમાં ઘૂસી ગયો હતા અને ગોળી મારીને ભાગી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થિનીએ છેડતીનો વિરોધ કર્યો હોવાને કારણે ઘટના બની હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મામલે વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

ગુંડાગીરીના બનાવ બાદ ફિરોઝાબાદ શહેરમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થિનીના પિતાનું કહેવું છે કે અમુક લોકોએ મારા ઘરે આવીને મારપીટ કરી હતી અને દીકરીના માથામાં ગોળી મારી દીધી હતી. પિતાનો આરોપ છે કે મનીષ યાદવ, શિવપાલ યાદવ અને ગૌરવ ચકે તેની દીકરીને ગોળી મારી છે. તેની દીકરી ૧૨માં ધોરણમાં અભ્યાસ કરતી હતી, જે કલાવતી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. પીડિતાના પિતાએ કહ્યુ, દીકરી ઘરે આવી રહી હતી ત્યારે રસ્તામાં તેઓએ અપશબ્દો કહ્યા હતા. દીકરીએ પણ તેમને જવાબ આપ્યો હતો. જે બાદમાં લોકોએ ઘરમાં ઘૂસીને ગોળી મારી દીધી હતી. કેસમાં એસએસપી સચિંદ કુમાર પટેલે જણાવ્યું કે રસૂલપુરના પ્રેમનગરની ઘટના છે. અહીં હત્યાના બનાવ બાદ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મામલામાં મૃતકના પિતાએ ત્રણ યુવકના નામ આપ્યા છે, જેમના પર ઘરમાં ઘૂસીને હત્યા કરવાનો આરોપ છે. મામલે ત્રણ ટીમની રચના કરવામાં આવી છે. ઝડપથી તમામ આરોપીઓને પકડી પાડવામાં આવશે.

(7:20 pm IST)