Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

આતંકવાદીઓનાં આશ્રયસ્થાન પાકિસ્તાનને મોટો ઝટકો : FATFનાં 'ગ્રે' લિસ્ટમાં જ રહેશે

પાકિસ્તાન FATF એક્શન પ્લાનના તમામ 27 માપદંડોનું પાલન કરવામાં નિષ્ફળ ગયું

પેરિસ:ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની યોજાયેલી બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવાનો નિર્ણય કરાયો. ફ્રાન્સની રાજધાની પેરિસમાં મળેલી આ બેઠકમાં કહેવાયું કે પાકિસ્તાન FATF એક્શન પ્લાનના તમામ 27 માપદંડોનું પાલન કરવામાં નિષ્ફળ ગયું છે. તેથી, તેને ગ્રે લિસ્ટમાં રાખવામાં આવશે.

ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સના આ નિર્ણયથી વૈશ્વિક આતંકવાદનું આશ્રય સ્થાન બની ગયેલા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને માટે આ મોટો ઝટકો છે. આ પછી હવે પાકિસ્તાનને વર્લ્ડ મોનેટરી ફંડ (IMF), વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક અને યુરોપિયન યુનિયન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની નાણાકીય સહાય મેળવવી વધુ મુશ્કેલ બનશે. પહેલેથી જ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ હવે વધશે. તો વળી, FATFએ પાકિસ્તાનને ફેબ્રુઆરી 2021 સુધીમાં તમામ 27 મુદ્દાઓ પર અમલ કરવા જણાવ્યું છે.

FATFએ જૂન 2018 માં પાકિસ્તાનને 'ગ્રે' લિસ્ટમાં મુક્યું હતું અને ઈસ્લામાબાદને 2019નાં અંત સુધીમાં મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ રોકવા માટે 27-પોઇન્ટનો એક્શન પ્લાન લાગુ કરવા જણાવ્યું હતું. આ સમયગાળો કોવિડ રોગચાળાને કારણે વધારવામાં આવ્યો.

દેવાનાં બોજ હેઠળ દટાયેલા પાકિસ્તાને FATFનાં ગ્રે લીસ્ટમાંથી બહાર નીકળવાના પ્રયાસના ભાગરૂપે ઓગસ્ટમાં 88 પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો અને તેમના નેતાઓ પર નાણાકીય પ્રતિબંધો લાદ્યા હતા. તેમાં મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ અને જમાત-ઉદ દાવાના વડા હાફિઝ સઇદ, જૈશ-એ-મહંમદના વડા મસુદ અઝહર અને અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો સમાવેશ થાય છે.

ભારતે પાકિસ્તાનની વાસ્તવિક્તાને દુનિયા સમક્ષ ખુલ્લી કરી દીધી છે અને કહ્યું છે કે પાકિસ્તાને 27 માંથી માત્ર 21 મુદ્દાઓ પર કામ કર્યું છે અને હજી પણ ત્યાં આતંકવાદીઓ માટે આશ્રયસ્થાન છે. ભારતે આરોપ લગાવ્યો કે પાકિસ્તાને યુએનની યાદીમાં શામેલ દાઉદ ઇબ્રાહિમ અને જૈશ-એ-મોહમ્મદના વડા જેવા આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયું છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું છે કે FATFના 6 મહત્વના મુદ્દા એવા છે, જેના પર પાકિસ્તાને કોઈ કામ કર્યું નથી.

(12:00 am IST)