Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

દેશમાં નાણાંકીય અસમાનતા ખૂબ જ વધારે છે : અહેવાલ

કોરોના કાળમાં પણ ધનવાનો વધુ ધનવાન બન્યા : અહેવાલના અનુસાર મહામારીના સમયમાં ૨૦૧૯ના વર્ષની સરખામણીએ લોકોની સંપત્તિમાં વધારો થયો છે

મુંબઈ, તા. ૨૩ : કોરોના વાયરસની મહામારીના કારણે લોકોનું આર્થિક સંતુલન ખોરવાઈ ગયું છે. લોકોની આવક પર પણ કોરોનાની અસર પડી છે. પરંતુ, આ દરમિયાન ધનવાન લોકોની સંપત્તિમાં વધારો થયો છે. ક્રેડિટ સુઈસેના રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. જોકે તેના અહેવાલમાં જણાવ્યા મુજબ ભારતમાં નાણાકીય અસામનતાનો દર ખૂબ વધારે જોવા મળી રહ્યો છે.

ક્રેડિટ સુઈસેના ગ્લોબલ વેલ્થ રિપોર્ટ મુજબ, તારીખ ૩૦ જૂનના રોજ પૂરા થયેલા ૬ મહિના દરમિયાન ભારતમાં દરેક વયસ્ક વ્યક્તિની સંપત્તિ વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં ૦.૭% વધી છે. આ રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસની મહામારી છતાં વર્ષ ૨૦૧૯ના અંત સુધીમાં દેશમાં દરેક વયસ્કની સંપત્તિ ૧૭,૩૦૦ ડોલર હતી જે જૂન ૨૦૨૦ના અંત સુધીમાં વધીને ૧૭,૪૨૦ ડોલર સુધી પહોંચી ગઈ.

નાણાકીય સેવા ફર્મ ક્રેડિટ સુઈસેના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૦ના પ્રથમ ૬ મહિનામાં સરેરશ વેલ્થ ગ્રોથ (વૃદ્ધિ) ૧.૭ ટકા રહ્યો. આ ફર્મના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૨૦માં સંપત્તિમાં ગ્રોથ ૫થી ૬ ટકા રહી શકે છે. અને વર્ષ ૨૦૨૧માં આ વૃદ્ધિ ૯ ટકા સુધી જઈ શકે છે. આ રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે ભારતમાં લોકોની સંપત્તિમાં પ્રોપર્ટી અને રિયલ એસ્ટેટની હિસ્સેદારી સૌથી વધુ જોવા મળતી હતી. પણ હવે લોકો નાણાકીય મિલકત તરફ વધી રહ્યા છે. જેઓની હિસ્સેદારી કુલ મિલકતમાં ૨૨ ટકા સુધી પહોંચી ગઈ છે. નાણાકીય સેવા ફર્મ ક્રેડિટ સુઈસેના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૯માં બિન-નાણાકિય મિલકતની વૃદ્ધિ ૧૨.૫ ટકા રહી, જ્યારે નાણાકીય મિલકત ૮.૬ ટકાના દરથી વધી.

(12:00 am IST)