Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

મોદી ભ્રષ્ટ અધિકારીઓને બચાવી રહ્યા છે : ઓવૈસી

સીબીઆઈ વિવાદ પર ઓવૈસીની સ્પષ્ટ પ્રતિક્રિયા : સીવીસીએ કઈ કલમ હેઠળ સીબીઆઈ ડિરેક્ટર વર્માને દૂર કર્યા છે તે સમજાઈ રહ્યું નથી : ઓવૈસીએ પ્રશ્નો કર્યા

હૈદરાબાદ, તા. ૨૪ : સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્માને રજા ઉપર મોકલી દેવાના ફેંસલા ઉપર હવે અસાસુદ્દીન ઓવૈસીએ પણ  કેન્દ્ર સરકાર અને સીવીસી પર આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ કહ્યું છે કે, તેમને સુપ્રીમ કોર્ટ ઉપર પૂર્ણ વિશ્વાસ છે. કોણ સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્માને રાહત આપશે. ઓવૈસીએ વડાપ્રધાન મોદી ઉપર એક ભ્રષ્ટ અધિકારીને બચાવવાનો આક્ષેપ કર્યો હતો. સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે છેડાયેલી લડાઈ વચ્ચે કેન્દ્ર સરકારે કઠોર વલણ અપનાવીને બંને અધિકારીઓને રજા ઉપર મોકલી દીધા છે. આના પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું હતું કે, તેઓ જાણવા માંગે છે કે, સીવીસીએ કઇ કલમ હેઠળ સીબીઆઈ ડિરેક્ટરને દૂર કર્યા છે. દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિસ્મેન્ટ એક્ટની કલમ ૪નો ભંગ છે. મોદી એક ભ્રષ્ટાચારી અધિકારીને બચાવી રહ્યા છે. તમામ લોકશાહી સંસ્થાઓને ઓછી આંકવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે, સીબીઆઇની અંદર નંબર-૧ અને નંબર-૨ની લડાઇની વચ્ચે કેન્દ્ર સરકારે અતિ કઠોર વલણ અપનાવીને આખરે રાતોરાત જ તપાસ ટીમ બદલી નાંખતા ખળભળાટ મચી ગયો છે. મંગળવારે મોડી રાતથી લઇને આજે દિવસ દરમિયાન જોરદાર ઘટનાક્રમનો દોર જારી રહ્યો હતો. સીબીઆઇના ઇતિહાસમાં અગાઉ ક્યારેય ન બન્યા હોય તેવા ઘટનાક્રમ જોવા મળ્યા હતા. હજુ સુધી આ મામલામાં સમાધાનના પ્રયાસમાં લાગેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે સીવીસીની ભલામણ મળતાની સાથે જ ખુબ જ કઠોર વલણ અપનાવીને સીબીઆઇના વડા આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના બંનેને રજા પર મોકલી દીધા હતા. બીજી બાજુ વર્માની જગ્યાએ એમ નાગેશ્વર રાવને વચગાળાના ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપી દીધી હતી. રાવ સીબીઆઈમાં હજુ સુધી જોઇન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા. ૧૯૮૬ની બેંચના આઈપીએસ અધિકારી રાવ તેલંગાણાના વારંગલ જિલ્લાના નિવાસી છે. આ સમગ્ર રાજકીય ઘટનાક્રમની શરૂઆત રાત્રે ૧૧ વાગે શરૂ થઇ હતી. સીબીઆઇમાં આ સમગ્ર નાટકીય ઘટનાક્રમની શરૂઆત રાત્રે ૧૧ વાગ્યા શરૂ થઇ હતી.આલોક વર્માએ આદેશ જારી કર્યો હતો કે સ્પેશિયલ ડિરેક્ટર અસ્થાના પાસેથી તમામ જવાબદારી પરત લેવામાં આવી છે.

કઈ રીતે નિર્ણય થયો....

હૈદરાબાદ, તા. ૨૪ : સીબીઆઇની અંદર નંબર-૧ અને નંબર-૨ની લડાઇની વચ્ચે કેન્દ્ર સરકારે અતિ કઠોર વલણ અપનાવીને આખરે રાતોરાત જ તપાસ ટીમ બદલી નાંખતા ખળભળાટ મચી ગયો છે. કઇરીતે નિર્ણય કરવામાં આવ્યો, ક્યારે શું થયું તે નીચે મુજબ છે.

*   મંગળવારે સાંજે છ વાગે સીવીસીએ સીબીઆઈ વડા આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને દૂર કરવાનો નિર્ણય કર્યો

*   સાંજે સાત વાગે સીવીસીએ નિર્ણય અંગે સરકારને જાણ કરી

*   સાત વાગે જ સરકારે વિચારણા હાથ ધરી અને વર્મા તથા અસ્થાનાને દૂર કરવાના આદેશ જારી કર્યા

*   રાત્રે ૧૨.૩૦ વાગે સીબીઆઈના અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા

*   વહેલી પરોઢે બે વાગે નાગેશ્વર રાવને સીબીઆઈના ડિરેક્ટર બનાવવામાં આવ્યા

(7:57 pm IST)