Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

છસરા હતુ આદર્શ ગામઃ વૈમનસ્યથી થયુ કલંકિત

સુંદર મંદિરો, મસ્જીદો, પાંજરાપોળ, પાકા રસ્તાઓથી ચકચકિત ગામઃ સોનાની થાળીમાં લાગી લોઢાની મેખઃ ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાયઃ સરપંચે લગાવેલ સીસીટીવીમાં ઘટના થઈ કેદ

રાજકોટ, તા. ૨૪ :. કચ્છના મુંદ્રા તાલુકાનુ છસરા ગામ આમ તો આદર્શ ગામની નામના ધરાવતુ હતુ. અહીંયા પ્રાથમિક, ધાર્મિક સહિતની તમામ સવલતો ઉપલબ્ધ હતી. આશરે ત્રણેક હજારની વસ્તી ધરાવતું ગામ પાંચેક સુંદર મંદિરો, મસ્જીદો, સિમેન્ટ રોડ, પાંજરાપોળ સહિતની આધુનિક સુવિધાઓ ધરાવે છે. ખેતી અને પશુપાલનના મુખ્ય વ્યવસાયવાળા આ ગામમાં મુસ્લિમ તથા આહિરોની મુખ્ય વસ્તી છે, પરંતુ બે વર્ષ પહેલા યોજાયેલ ચૂંટણીમાં બે કોમ વચ્ચે વૈમનસ્યની બીજ રોપાયા અને આ નયનરમ્ય ગામને કલંકની કાલીમાં લાગી ગઈ.

પાંચ પરાણે વ્હાલા લાગે તેવા નવયુવાનને ભરખી ગયેલી વૈમનસ્યની જવાળાથી આ સુંદર ગામમાં હાહાકાર મચી ગયો છે. ૪ ફુટડા આહીર યુવાન અને બે મુસ્લિમ શખ્સોની નિર્મમ હત્યાથી આ પંથકમાં હાહાકાર મચી ગયો છે. આખુ ગામ ડુસકે ચડયુ છે ત્યારે વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે હથીયારધારી પોલીસના ધાડા ઉતારી દેવાયા છે.

બે વર્ષ પહેલા યોજાયેલી  સરપંચની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભેલા હારેલા ચેતનભાઇ કાનાભાઇ આહીર ઉમેદવાર તથા જીતેલા મુસ્લિમ મહિલા ઉમેદવાર શકીનાબેન આરબભાઇ બન્નેના પરિવારના મળીને છ માનવ જીંદગી હણાઈ છે.

બે વર્ષ પહેલા આદર્શ મનાતા છસરા ગામને કાળની નજર લાગી ગઈ અને સમગ્ર કચ્છને ધ્રુજાવી દેનારી ઘટનાથી ગામ કલંકીત બન્યુ છે.

બે વર્ષ અગાઉ પણ સામાન્ય માથાકુટ થયાનું મનાય છે ત્યારે સરપંચની ચૂંટણીમાં પણ હાકલા-પડકારા થયા હતા પરંતુ ચૂંટણી બાદ નાની-મોટી વાતો વિકાસ કાર્યોની રજૂઆતો સહિતની બાબતે માથાકુટો સર્જાતી રહેલી હતી.

ગામમાં ખેતી અને પશુપાલનનો મુખ્ય વ્યવસાય છે. ગામમાં ચકચકિત હિન્દુ મંદિરો, મુસ્લિમ મસ્જીદો, પાંજરાપોળ, પાકા રસ્તા સહિતની બાબતોથી સ્વચ્છ અને સુઘડ નજરે પડતા ગામમાં સશસ્ત્ર ધિંગાણુ સર્જાતા રોડ રસ્તા અને લોકોના મન અને સબંધો લોહીલોહાણ થયા છે. એક જબરદસ્ત કલંકિત ઘટનાથી છસરા ગામને કાળી ટીલી લાગી છે.

વૈમનસ્યની આગમાં નવયુવાન - ફુટડા યુવાનોના જીવ ગયા છે અને ૭૦ વર્ષીય વૃદ્ધે પણ દમ તોડયો છે. આદર્શ, સ્વચ્છ અને સુંદર ગણાતા ગામને કલંકની એક કલંકિત કાલીમા લાગી ગઈ છે.(૨-૪)

(11:07 am IST)