Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

સરકારી સ્કૂલોના શૌચાલયોમાં પાણી, સ્વચ્છતાનો જ અભાવ

કેગના અહેવાલ બાદ ચિદંબરમના સરકાર પર પ્રહાર : ૧૫ રાજ્યોમાં ૭૫ ટકા સ્કૂલોના ૨૩૨૬ ટોઈલેટમાં ૧૮૧૨માં પાણી નથી : ૪૦% શાળાના શૌચાલય નક્કામા

નવી દિલ્હી,તા.૨૪ : કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે પોતાના અહેવાલમાં દેશની શાળાઓમાં બનેલાં શૌચાલયો અંગે મહત્વનો ધડાકો કર્યો છે. કેગના અહેવાલ અનુસાર, દેશના ૧૫ મોટા રાજ્યોમાં ૭૫ ટકા શાળાઓમાં બનેલા શૌચાલય એવાં છે કે જ્યાં સ્વચ્છતાનો અત્યંત અભાવ છે. આ અહેવાલ બાદ હવે કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદંબરમે સરકાર પર પ્રહાર કર્યો હતો. સંસદમાં રજૂ કરવામાં આવેલી CAGના અહેવાલ પ્રમાણે, દર ૨૩૨૬ શૌચાલયમાંથી ૧૮૧૨માં પાણીની વ્યવસ્થા છે જ નહીં. ૧૮૧૨ શૌચાલયોમાંથી ૭૧૫ શૌચાલયની સફાઈ જ નથી કરવામાં આવતી. એવામાં સરકારી શાળાઓમાં ૭૫ ટકા શૌચાલયોની સાફ-સફાઈ થતી જ નથી. ત્યાં સાબુ અને પાણીની વ્યવસ્થા પણ નથી રહેલી. આ અહેવાલ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદંબરમે લખ્યું કે, CAGના અહેવાલ અનુસાર, ૪૦ ટકાથી વધારે સરકારી શાળાઓમાં બનાવાયેલા શૌચાલયો કામ નથી આપી રહ્યા.

આ અગાઉ પણ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બનાવાયેલા શૌચાલયો મામલે આવો જ અહેવાલ સામે આવ્યો હતો. હવેે જ્યારે દેશના ૪૦ ટકા જેટલા શૌચાલયોમાં સ્વચ્છતા કે કોઈ સગવડ નથી તો પછી દેશને ખુલ્લામાં શૌચ મુક્ત થયો તેવું કેવી રીતે માની શકાય?નોંધનીય છે કે, CAG તરફથી અલગ-અલગ વિસ્તારો માટેનો પોતાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશનને જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત સ્વચ્છ વિદ્યાલય અભિયાનને ૨૦૧૪માં લોન્ચ કરવામાં આવ્યું હતું જેના અંતર્ગત શિક્ષણ મંત્રાલયે દરેક સરકારી શાળાઓમાં શૌચાલય બનાવવાનો દાવા કર્યો હતો .

(9:10 pm IST)