Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

કાશ્મીરી પોતાને ભારતીય માનવા તૈયાર નથી : ફારૂક

કાશ્મીરીઓ ચીન સાથે જવા માટે રાજી હોવાનું કહ્યું : ૩૭૦ની કલમ હટાવી તે કાશ્મીરીને ભારતથી દૂર કરવા માટે કોફિનના આખરી ખીલા સમાન પગલું હોવાનો દાવો

શ્રીનગર,તા.૨૪ : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, કાશ્મીરીઓ પોતાને ભારતીય ગણતા નથી અને તેમને ચીન સાથે રહેવામાં કોઈ પ્રોબ્લેમ નથી. અબ્દુલ્લાએ કહ્યું કે, કાશ્મીરમાં લોકો પોતાની જાતને ભારતીય માનતા નથી. અહીં જો કોઈ પોતાને ભારતીય કહેવડાવતો વ્યક્તિ મળી જાય તો મને આશ્ચર્ય થશે. અબ્દુલ્લાએ એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તમે કાશ્મીરમા જાવ અને કોઈની પણ સાથે વાત કરો તો તમને આ ખબર પડી જશે. તેઓ પોતાની જાતને ભારતીય પણ નહીં અને પાકિસ્તાની પણ નથી માનતા, સરકારે ૩૭૦ની કલમ હટાવી તે કાશ્મીરીઓને ભારતથી દુર કરવા માટે કોફિનના આખરી ખીલા સમાન પગલુ હતુ.

તેમણે કહ્યુ હતુ કે, કાશ્મીરીઓ ભાગલા સમયે પાકિસ્તાન જઈ શક્યા હોત પણ તેમણે ગાંધીજીના ભારતને પસંદ કર્યુ હતુ નહીં કે મોદીના ભારતને, હવે કાશ્મીરના લોકોને સરકાર પર કોઈ ભરોસો રહ્યો નથી.કાશ્મીરીઓ સાથે વાત કરશો તો ખબર પડશે કે , તેઓ ચીન ભારતમાં આવી જાય તેવુ ઈચ્છી રહ્યા છે અને તે પણ ચીને મુસ્લિમો સાથે કેવુ વર્તન કર્યુ છે તે જાણતા હોવા છતા આવું કહી રહ્યા છે. ફારુખ અબ્દુલ્લાએ કહ્યુ હતુ કે, હું જે વાત કરી રહ્યો છું તે કોઈને સાંભળવી ગમે તેમ નથી. કાશ્મીરમાં દરેક ગલીમાં એક ભારતીય સેનાનો જવાન એકે ૪૭ લઈને ઉભો  છે. ત્યાં આઝાદી જેવું ક્યાં છે? સરકારે કલમ ૩૭૦ પાછી લાગુ કરવાની જરૂર છે. જે રાજ્યની શાંતિ માટે જરૂરી છે.

(9:06 pm IST)