Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

નવાઝની પત્નિએ તેનાં વિરુદ્ઘ લગાવ્યો રેપ અને છેતરપીંડીનો આરોપ

પત્નિ આલિયા સિદ્દીકીએ મુંબઇનાં વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

મુંબઇ, તા.૨૪: બોલિવૂડ એકટર નવાઝુદ્દીન સિદ્દીકી  અને તેની પત્ની આલિયા સિદ્દીકી  એક વખત ફરીથી ચર્ચામાં છે. બંને વચ્ચે કંઇ જ બરાબર નથી ચાલી રહ્યું. બંને વચ્ચે ગત કેટલાંય સમયથી અણબનાવ ચાલે છે. અને હવે ફરી એક વખત નવાઝુદ્દીનની મુશ્કેલીઓ વધી ગઇ છે. તેની પત્ની આલિયાએ તેનાં વિરુદ્ઘ લેખિત ફરિયાદ દાખલ કરાવતા તેનાં ઉપર બળાત્કાર અને છેતરપીંડીનો આરોપ લગાવ્યો છે. એક્ર વિરુદ્ઘ આલિયાએ મુંબઇનાં વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રિપોર્ટ્સ મુજબ, આલિયા સિદ્દીકીનાં વકિલે જણાવ્યું કે કલમ ૩૭૫, ૩૭૬ (કે), ૩૭૬ (એએન), ૪૨૦ અને ૪૯૩ હેઠળ, ફરિયાદ નોંધવામાં આવી છે. આલિયાએ ગત અઠવાડિયે તેની ફરિયાદ મામલે ઉત્તર પ્રદેશનાં મુઝફ્ફરનગર સ્થિત બુઢાના પોલિસ સ્ટેશનમાં તેનું નિવેદન દાખલ કરાવ્યું હતું. આ ફરિયાદમાં તેણે નવાઝ અને તેનાં પરિવારનાં ચાર સભ્યોનાં નામનો ઉલ્લેખ કર્યો છે. આ મામલે હવે પોલીસ નવાઝુદ્દિન સિદ્દિકીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે.

નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયા સિદ્દીકીમાં ગત લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે. આલિયાએ થોડા સમય પહેલાં જ નવાઝુદ્દીનને છુટાછેડાની નોટિસ ફટકારી હતી.

નવાઝ કોરોનાને કારણે થયેલાં લોકડાઉનમાં મુંબઇથી તેનાં ગામ બુઢાના જતો રહ્યો હતો. અને ત્યારથી જ તે ત્યાં છે. જુલાઇ મહિનાની ૨૭ તારીખે આળિયાએ મુંબઇનાં એક પોલીસ સ્ટેશનમાં નવાઝ અને તેનાં પરિવાર વિરુદ્ઘ એક FIR પણ દાખલ કરી છે. આ મામલો મુંબઇનો નથી એટલે તેની ફરિયાદ મુઝફ્ફર નગર પાસેનાં બુઢાના સ્થાનાંતરિત કરવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, હાલમાં જ આલિયાએ સોશિયલ મીડિયા પર એખ ઓપન લેટર નવાઝનાં નામે લખ્યો હતો. ટ્વિટર પર આ લેટરમાં આલિયાએ નવાઝ અને તેનાં પરિવારને ખુબજ દ્યમકાવ્યાં હતાં. અને સ્પષ્ટ કહ્યું હતું કે, તે કંઇપણ થઇ જાય નવાઝ કે તેનાં સાસરાવાળા સામે ઝુકશે નહીં. આલીયાએ નવાઝનાં ભાઇઓ અને PR મશીનરીને પણ ભારે ધમકાવ્યા હતાં.

આ પહેલી વખત નથી કે આલિયાએ નવાઝુદ્દિન વિરુદ્ઘ પોલીસ કમ્પલેઇન કરી હોય આ પહેલાં પણ કે નવાઝુદ્દિન અને તેનાં ભાઇ સમ્સ સિદ્દિકી  વિરુદ્ઘ પોલીસ ફરિયાદ કરી ચૂકી છે.

(4:40 pm IST)