Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

ભાજપને રાષ્ટ્રીયક્ક્ષાએ એક જ વર્ષમાં ૭ પીઢ નેતાઓની ખોટ પડી : બલરામજી દાસ ટંડન, અટલ બિહારી વાજપેયી, મદનલાલ ખુરાના, અનંતકુમાર, મનોહર પાર્રિકર અને સુષમા સ્વરાજ જેવા દિગ્ગજ ભાજપા નેતાઓએ આ દુનિયાને કરી અલવિદા

નવી દિલ્હી: ભાજપે છેલ્લા એક જ વર્ષમાં અરુણ જેટલી સહિત પોતાના 7 દિગ્ગજ નેતાઓ ગુમાવ્યાં છે. જેમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને પૂર્વ રક્ષા મંત્રી મનોહર પાર્રિકર સામેલ છે. 

છત્તીસગઢના પૂર્વ રાજ્યપાલ બલરામજી દાસ ટંડનનું 14મી ઓગસ્ટ 2018ના રોજ નિધન થયું હતું. તેમની ઉંમર 90 વર્ષ હતી. તેમને બેચેનીની ફરિયાદ બાદ ડો.બી આર આંબેડકર સ્મારક હોસ્પિટલ લઈ જવાયા હતાં. જ્યાં બાદમાં તેમનું નિધન થયું. ટંડન જનસંઘના સંસ્થાપક સભ્યોમાંથી એક હતાં અને જુલાઈ 2014ના રોજ છત્તીસગઢના રાજ્યપાલ બન્યાં હતાં. 

પૂર્વ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીનું નિધન 16 ઓગસ્ટ 2018ના રોજ થયું હતું. અટલ બિહારી વાજપેયીને કિડની નળીમાં ઈન્ફેક્શન, છાતી જકડાવવાની ફરિયાદ બાદ 11 જૂન 2019ના રોજ એમ્સમાં દાખલ કરાયા હતાં. અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ થયો હતો. તેઓ ચાર દાયકાથી પણ વધુ સમયથી ભારતીય સંસદના સભ્ય રહ્યાં. આ ઉપરાંત તેઓ ત્રણવાર ભારતના વડાપ્રધાન બન્યાં. 

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મદનલાલ ખુરાનાનું નિધન 27 ઓક્ટોબર 2018ના રોજ થયું હતું. દિલ્હીના રાજકારણમાં તેઓ ભાજપના દિગ્ગજ નેતા ગણાતા હતાં. ખુરાનાએ રાજકીય કારકિર્દીની શરૂઆત જનસંઘ સાથે કરી હતી. તેઓ પાર્ટી અને સરકારમાં અનેક પદો પર હતાં. મદનલાલ ખુરાના દિલ્હીના 1993થી 1996 સુધી મુખ્યમંત્રી હતાં. 2001માં તેમને રાજસ્થાનના રાજ્યપાલ પણ બનાવવામાં આવ્યાં હતાં. 

ભાજપના નેતા અનંતકુમારનું નિધન 12 નવેમ્બર 2018ના રોજ થયું હતું. અનેકવાર સંસદ સભ્ય રહી ચૂક્યા હતાં. તેમણે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં પહેલા ભાજપ સરકાર અને પછી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી કેન્દ્ર સરકારમાં મંત્રી પદ સંભાળ્યું હતું. તેઓ કેન્સર સામે ઝઝૂમી રહ્યાં હતાં. 

ગોવાના મુખ્યમંત્રી રહી ચૂકેલા અને પૂર્વ કેન્દ્રીય રક્ષા મંત્રી મનોહર પાર્રિકરનું નિધન 17 માર્ચ 2019ના રોજ થયું હતું. તેઓ લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યાં હતાં. કેન્સર માટે તેઓ કેટલાક મહિના સુધી અમેરિકામાં સારવાર પણ કરાવવા ગયા હતાં. તેઓ ચારવાર ગોવાના મુખ્યમંત્રી રહ્યાં હતાં અને ગોવાના રાજકારણ પર તેમની સારી એવી પક્કડ હતી. 

ભાજપના દિગ્ગજ નેતા સુષમા સ્વરાજનું નિધન 6 ઓગસ્ટ 2019ના રોજ થયું હતું. તેઓ 67 વર્ષના હતાં. તેમનું નિધન હાર્ટ એટેકથી થયું હતું. સુષમા સ્વરાજ દેશના પહેલા વિદેશ મંત્રી તરીકે જાણીતા હતાં. તેમનો જન્મ 14 ફેબ્રુઆરી 1952ના રોજ અંબાલામાં થયો હતો.

(8:41 pm IST)