Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

મનમોહનસિંહે અર્થવ્યવસ્થાને લઇ આપી ચેતવણી

આગળનો રસ્તો પડકારજનક, ખુશી મનાવવાનો સમય નથી

નવી દિલ્હી,તા. ૨૪: પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે દેશની આગળની સ્થિતિને ૧૯૯૧ના આર્થિક સુધારાના સમય કરતા પણ વધુ કઠિન અને પડકારજનક ગણાવી છે. ૧૯૯૧ના ઐતિહાસિક બજેટના ૩૦ વર્ષ પૂરા થવા પ્રસંગે તેમણે શુક્રવારે જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગળનો રસ્તો તે સમયે કરતા વધુ પડકારજનક છે અને આવી સ્થિતિમાં એક રાષ્ટ્ર તરીકે ભારતે તેની પ્રાથમિકતા ફરીથી નિર્ધારિત કરવી પડશે.

નરસિંહરાવની આગેવાનીવાળી ૧૯૯૧ની સરકારમાં મનમોહન સિંદ્ય નાણામંત્રી હતા અને ૨૪ જુલાઈ ૧૯૯૧ના રોજ પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ દેશમાં આર્થિક ઉદારીકરણનો પાયો માનવામાં આવે છે. તેમણે બજેટ રજૂ થયાના ૩૦ વર્ષ પૂર્ણ થવા પર જણાવ્યું કે ૩૦ વર્ષ પહેલા ૧૯૯૧માં કોંગ્રેસ પાર્ટીએ ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર સુધારાની શરૂઆત કરી હતી અને દેશની આર્થિક નીતિ માટે એક નવો માર્ગ બનાવ્યો હતો.

મનમોહનસિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકા દરમિયાન વિવિધ સરકારો આ માર્ગને અનુસરે છે અને દેશની અર્થવ્યવસ્થા ત્રણ હજાર અબજ ડોલર થઇ છે અને તે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાથી એક છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ સમયગાળામાં લગભગ ૩૦ કરોડ ભારતીય નાગરિકો ગરીબીમાંથી બહાર આવ્યા અને કરોડો નવી નોકરીઓનું નિર્માણ થયું. સુધારાની પ્રક્રિયા આગળ વધવાની સાથે સ્વતંત્ર ઉદ્યમીની ભાવના શરૂ થઈ, જેનું પરિણામ એ છે કે ભારતમાં ઘણી વિશ્વસ્તરીય કંપનીઓ અસ્તિત્વમાં આવી અને ભારત દ્યણા ક્ષેત્રોમાં વૈશ્વિક શકિત તરીકે ઉભરી આવ્યું.

તેમના જણાવ્યા મુજબ ૧૯૯૧માં આર્થિક ઉદારીકરણની શરૂઆત એ આર્થિક સંકટના કારણે થયું, જેણે આપણા દેશને ઘેરીને રાખ્યું હતું. પરંતુ તે સંકટ વ્યવસ્થાપન પૂરતું મર્યાદિત નહોતું. સમૃધ્ધિની ઇચ્છા, પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ અને અર્થતંત્ર પર સરકારના નિયંત્રણને છોડી દેવાના વિશ્વાસના પાયા પર ભારતના આર્થિક સુધારાઓની ઇમારત ઉભી કરવામાં આવી.

પૂર્વ વડાપ્રધાને જણાવ્યું કે હું ભાગ્યશાળી છું કે કોંગ્રેસના દ્યણા સાથીદારો સાથે સુધારણાની આ પ્રક્રિયામાં ભૂમિકા ભજવી. તેનાથી મને ખૂબ ખુશી અને ગૌરવ અનુભવાય છે કે છેલ્લા ત્રણ દાયકામાં આપણા દેશે જબરદસ્ત આર્થિક પ્રગતિ કરી છે. પરંતુ કોવિડને કારણે થયેલા વિનાશ અને કરોડોની નોકરીના નુકસાનથી હું ખૂબ દુઃખી છું. આટલા બધા જીવન અને આજીવિકા ખોવાઈ ગઈ છે, એવું ન થવું જોઈતું હતું.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ આનંદિક અને મગ્ન રહેવાનો સમય નથી, પરંતુ આત્મનિરીક્ષણ અને વિચાર માટેનો સમય છે. ૧૯૯૧ના સંકટની સરખામણીમાં આગળનો રસ્તો વધુ પડકારજનક છે. એક રાષ્ટ્ર તરીકે આપણી પ્રાથમિકતાને ફરીથી નિર્ધારિત કરવાની જરૂર છે, જેથી દરેક ભારતીય માટે સ્વસ્થ અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત થઇ શકે.

મનમોહન સિંહે વધુમાં જણાવ્યું હતું કે ૧૯૯૧માં નાણાંમંત્રી તરીકે મેં વિકટર હ્યુગો (ફ્રેન્ચ કવિ)ના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો કે 'પૃથ્વી પરની કોઈ શકિત એ વિચારને રોકી શકશે નહીં, જેનો સમય આવી ગયો છે. ૩૦ વર્ષ પછી એક રાષ્ટ્ર તરીકે આપણે રોબર્ટ ફ્રોસ્ટ (અમેરિકા કવિ)ની એ કવિતા યાદ રાખવાની છે કે આપણે આપણા વાયદાને પૂર્ણ કરવા અને માઇલ પ્રવાસ કર્યા પછી જ આરામ કરવાનો છે.

(10:20 am IST)