Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

સૈન્ય લક્ષ્યાંકો હાંસલ કરી લેવામાં સફળ રહ્યા છીએ

પાકિસ્તાન ભારતમાં ઘુસવામાં નિષ્ફળ રહ્યું : બીએસ ધનોઆ : પાકિસ્તાનનો ઉદેશ્ય અમારા આર્મી સ્થળો પર હુમલાઓ કરવાનો પરંતુ નિષ્ફળ રહ્યા હતા : હવાઈ દળ વડા બીએસ ધનોઆ

ગ્વાલિયર,તા.૨૪ : ભારતીય હવાઈ દળના વડા બીએસ ધનોઆએ આજે કહ્યું હતું કે, પુલવામા હુમલા બાદ બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરીને ભારતે પોતાના લશ્કરી લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા મેળવી હતી. પરંતુ પાકિસ્તાને અમારા હવાઈ ક્ષેત્રમાં ઘુસણખોરી કરવાની હિમ્મત કરી ન હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રને બંધ કરી દેવાથી ભારતના હવાઈ ક્ષેત્રને કોઈ અસર થઈ ન હતી. તેમને એમ પણ કહ્યું હતું કે, એએન-૩૨ વિમાનોની પહાડી વિસ્તારોમાં ઉંડાણોને બંધ કરાશે નહીં. વાયુસેના પ્રમુખ બી એસ ધનોઆએ કહ્યું હતું કે બાલાકોટ એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાનનું કોઇ વિમાન ભારતના હવાઇ વિસ્તારમાં ઘૂસી શક્યું નહોતું. અમે ૨૬ ફેબ્રુઆરીએ આતંકી કેમ્પનો સફાયો કરી લક્ષ્ય મેળવી લીધું હતું. ત્યાર પછી પાકિસ્તાનના વિમાન ભારતીય સૈન્યના કેમ્પો પર હુમલાઓ માટે આવ્યા હતા, પણ સફળ થયા નહોતા. અમે ૨૭ ફેબ્રુઆરીએ થોડાંક કલાકો માટે એરસ્પેસને બંધ કર્યું હતું. પાકિસ્તાને હજી પણ તેની હવાઈ સીમા બંધ રાખી છે તો એ એમની સમસ્યા છે. એર ચીફ માર્શલ ધનાઓ કારગીલ યુદ્ધના ૨૦ વર્ષ પૂરા થવા પર ગ્વાલિયર એર બેસ પર એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે આપણી અર્થવ્યવસ્થા જીવંત છે અને એર ટ્રાફિક મહત્ત્વનો ભાગ છે. ભારતીય વાયુસેનાએ દેશના સિવિલ એર ટ્રાફિકને ક્યારેય રોક્યો નહોતો. માત્ર ૨૭ ફેબ્રુઆરીએ શ્રીનગર એરસ્પેસને ૨-૩ કલાક માટે બંધ કર્યું હતું. તે વખતે બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ હતી, પણ આપણી નાગરિક ઉડ્ડયન સેવાને કોઈ અસર થઈ નહોતી. ધનોઆએ એએન-૩૨ વિમાન અકસ્માત અંગે કહ્યું હતું કે અમારી પાસે હાલ આ એરક્રાફ્ટનો કોઈ વિકલ્પ નથી. જેથી એએન-૩૨ એરક્રાફ્ટ દ્વારા પહાડી વિસ્તારમાં ઉડાન ચાલુ રહેશે. નોંધનીય છે કે થોડાંક દિવસ પહેલાં એએન-૩૨ વિમાન અરૂણાચલ પ્રદેશમાં ક્રેશ થઇ ગયું હતું, જેમાં ૧૩ લોકોના જીવ ગયા હતા. પાકિસ્તાન દ્વારા એર સ્પેસને બંધ કરવામાં આવ્યા બાદ પણ ભારતને કોઈ અસર થઈ નથી. ધનોઆએ કહ્યું હતું કે, કારગિલ યુદ્ધ વેળા પર પાકિસ્તાન અમારા હવાઈ ક્ષેત્રમાં ઘુસણખોરી કરવાની હિંમત કરી શક્યુ ન હતુ પરંતુ બાલાકોટ હવાઈ બાદ પાકિસ્તાને અમારા હવાઈ ક્ષેત્રમાં ઘુસણખોરી કરી હતી. ૨૦ વર્ષમાં શું બદલાયુ તે અંગે પુછવામાં આવતા ધનોઆએ કહ્યું હતું કે, તેઓ અમારા હવાઈ ક્ષેત્રમાં આવી શક્યા નથી. અમારો ઉદેશ્ય શું હતો અને પાકિસ્તાનનો ઉદેશ્ય શું હતો તે જોઈ શકાય છે. અમારો હેતુ બાલાકોટમાં હવાઈ હુમલા કરવાનો હતો.

કારગિલ યુદ્ધમાં વિજયના ૨૦ વર્ષ પરિપૂર્ણ થયા....

દેશભરમાં ઉજવણી કરવામાં આવી

નવીદિલ્હી, તા. ૨૪ : ભારતીય હવાઈ દળ કારગિલ યુદ્ધમાં વિજયના ૨૦ વર્ષની પૂર્ણાહુતિને લઈને ઉજવણી કરી રહી છે. આજે વાયુસેનાએ ગ્વાલિયર એર ફોર્સ સ્ટેશનમાં ફરી એકવાર ૨૪મી જુન ૧૯૯૯ના દિવસે ટાઈગર હીલ પર પાકિસ્તાની ઘુસણખોરો પર કરવામાં આવેલા હુમલાના સીન ફરી રિક્રિએટ કર્યા હતા. એ વખતે ભારતે ઓપરેશન સફેદ સાગર મારફતે પાકિસ્તાનને તેના દુસાહસ બદલ બોધપાઠ ભણાવ્યો હતો. આ સીનના રિક્રિએશન વેળા હવાઈ દળના વડા બીએસ ધનોઆ ઉપસ્થિત રહ્યા હતા. એરફોર્સે પ્રથમ વખત લેઝર ગાઈડેડ બોમ્બનો ઉપયોગ કરીને પાકિસ્તાની  સૈનિકો અને ત્રાસવાદીઓનો ખાતમો બોલાવ્યો હતો. કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાને ઉચા શિખર પર હોવાના લીધે લીડ મેળવી હતી. પરંતુ અંતે ભારતે હવાઈ હુમલા કર્યા હતા અને પાકિસ્તાનની કમળ તોડી નાખી હતી. ૪-૫મી જુલાઈના દિવસે ટાઈગર હીલ પર કમજો જમાવ્યો હતો. ટાઈગર હીલ પર ભારતની લીડ ૨૪મી જુનના દિવસે થઈ હતી. તે વખતે બે મિરાઝ ૨૦૦૦ વિમાન મોકલવામાં આવ્યા હતા.

(7:33 pm IST)