Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

કોંગ્રેસમાં મોટા ફેરફારની તૈયારી:અશોક ગેહલોટ બનશે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ !

સીએમ પદ પર રહીને કોંગ્રેસનું અધ્યક્ષપદ સંભાળશે :સત્તાવાર જાહેરાતની જોવાતી રાહ

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસમાં ધરખમ ફેરફારની તૈયારી થઇ રહી છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધા બાદ હવે કોંગ્રેસને બહુ જલદી રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસ પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. પાર્ટીની વર્કિંગ કમિટીમાં આ અંગે વિચાર વિમર્શ થઈ ચૂક્યો છે અને અશોક ગેહલોત પાસે પણ આ અંગે અભિપ્રાય લેવામાં આવેલો છે

સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસના હાલના અધ્યક્ષ રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે પણ ચર્ચા થઈ ગઈ છે. કહેવાય છે કે કોંગ્રેસના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ અશોક ગેહલોત હશે. પરંતુ તેમાં પણ એમોટી અપડેટ એ છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી પદની જવાબદારી તો અશોક ગેહલોત પાસે જ રહેશે. એવી માહિતી મળી છે કે અશોક ગેહલોતે સીએમ પદ પર કામ કરતા ચાલુ રાખવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે. 

આ બાજુ પાર્ટીની અંદર એક મોટો વર્ગ એ વાતનો સમર્થક છે કે આ નિર્ણયથી પાર્ટીને લાભ થશે. નોંધનીય છે કે અખિલેશ યાદવ, માયાવતી, નવીન પટનાયક, જયલલિતા અને મમતા બેનર્જી મુખ્યમંત્રી પદ પર રહેવા છતાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદ ઉપર પણ કામ કરતા રહ્યાં છે. મુખ્યમંત્રી પદ પર રહીને અશોક ગેહલોતને દશના અન્ય રાજ્યોમાં પ્રોટોકોલ પણ મળી શકશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે અશોક ગેહલોતને જવાબદારી સોંપવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો છે. 

 

નોંધનીય છે કે અશોક ગેહલોત રાજસ્થાનમાં ત્રણવાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે તથા આ ઉપરાંત તેઓ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તેમના કાર્યકાળમાં પાર્ટીના સંગઠનને મજબુતાઈ મળી છે અને કોંગ્રેસના મોટા અને યુવા નેતાઓ વચ્ચે અશોક ગેહલોતની સ્વીકાર્યતા છે. અશોક ગેહલોત ગાંધી પરિવાર પ્રત્યે નિષ્ઠા ધરાવે છે અને રાહુલ ગાંધી ઉપરાંત સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે પણ અશોક ગેહલોતની સારી અન્ડરસ્ટેન્ડિંગ છે. 

 

કોંગ્રેસની વર્કિંગ કમિટીના નેતાઓ સાથે પણ અશોક ગેહલોતનો સારો તાલમેળ છે. અશોક ગેહલોતની પસંદગી પાછળ એક મોટું કારણ એ છે કે રાહુલ ગાંધીએ દેશમાં ઓબીસી અને દલિત જાતિમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ પસંદ કરવાની વાત કરી છે. જેને લઈને ઓબીસી જાતિમાંથી હોવાના કારણે અશોક ગેહલોતનો પક્ષ મજબુત થાય છે. અશોક ગેહલોત મુખ્યમંત્રી તરીકે ચાલુ રહે તો રાજસ્થાનમાં રાજ્ય સરકારમાં પણ અસ્થિરતાની સ્થિતિ જોવા મળશે નહીં કારણ કે મોટાભાગના ધારાસભ્યો અશોક ગેહલોતના સમર્થનમાં છે. જોવાનું એ રહેશે કે તેની અધિકૃત જાહેરાત ક્યારે કરાય છે. 

(12:00 am IST)