Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

અમિત શાહને નાણા મંત્રાલયનો હવાલો સોંપાશે ? જાયન્ટ કીલર સ્મૃતિ ઈરાનીને મહત્વનું ખાતુ મળશેઃ રાજનાથ નંબર ટુ થશે

અરૂણ જેટલીની તબીયત સારી નથી તેમને ડ્રોપ કરવામાં આવે તેવી શકયતા

નવી દિલ્હી, ૨૪ :. મોદી સરકારે ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ હવે મંત્રી મંડળની રચનાને લઈને જબરી ચર્ચા જાગી છે. કોને કયુ ખાતુ મળશે ? તે બાબતને લઈને અટકળો થઈ રહી છે ત્યારે એક એવી વાત પણ બહાર આવી છે કે ભાજપના પ્રમુખ અમિત શાહને નાણા મંત્રાલયનો હવાલો સોંપવામાં આવશે.

વડાપ્રધાન મોદી પોતાના મંત્રી મંડળમાં ધરખમ ફેરફારો કરે તેવી શકયતા છે. રાજ્યકક્ષાના પ્રધાનોમાં નવા ચહેરાઓને લેવામાં આવે તેવી શકયતા છે. તેઓ પ્રોફેશ્નલ્સને પણ પ્રાધાન્ય આપે તેવી શકયતા છે.

મોદી પાસે આ વખતે પ્રધાન મંડળની રચનાના મામલે ફ્રી હેન્ડ રહેશે કારણ કે ભાજપને એકલાહાથે બહુમતી મળી છે. જાયન્ટ કીલર સ્મૃતિ ઈરાનીએ જેમણે અમેઠીમાં રાહુલ ગાંધીને પરાજય આપ્યો છે તેમને મહત્વનુ સ્થાન મળે તેવી શકયતા છે. કેટલાક સિનીયર મંત્રીઓ જેમ કે રાજનાથસિંહ, સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરીને અગાઉનો હવાલો જ સોંપાશે. કેબીનેટમાં રાજનાથસિંહ નંબર ૨ બનશે.

નાણામંત્રી અરૂણ જેટલી કે જેમની તબીયત સારી રહેતી નથી તેમને ડ્રોપ કરવામાં આવે તેવી શકયતા છે. જો અમિત શાહને નાણા મંત્રાલય સોંપવામાં આવે તો તેઓ સલામતી અંગેની કેબીનેટ સમિતિમાં પણ સ્થાન પામશે. એવી પણ ચર્ચા છે કે અમિત શાહ અધ્યક્ષ પદ પર ચાલુ રહેવા માગે છે.

જો કે ભાજપે વન મેન વન પોસ્ટનો નિયમ નક્કી કર્યો હોવાથી તેમણે અધ્યક્ષ પદ છોડવુ પડશે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદની હાલત કફોડી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદી નવા કાનૂન મંત્રી ઈચ્છે છે. કેન્દ્રીય કેબીનેટમાં અમિત શાહની ટીમના સભ્યો વિનય સહસ્ત્રબુદ્ધિ અને ભૂપેન્દ્ર યાદવનો સમાવેશ થાય છે.

મંત્રી મંડળમાં કેટલાક નવા ચહેરાઓને પણ સ્થાન મળે તેવી શકયતા છે.

(11:45 am IST)