Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

કેન્‍દ્રના ઓઇલ મંત્રાલયે રિલાયન્સ ઇન્‍ડસ્‍ટ્રીઝ, શેલ અને ઓઅેનજીસી પાસે ૩.૮ અબજ ડોલરની ઉઘરાણી કરી

નવી દિલ્હી: સરકાર સામે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) અને શેલ દ્વારા લંડનની ઇંગ્લિશ કોર્ટમાં કરવામાં આવેલા દાવાને કોર્ટે ફગાવી દીધા હોવાથી ઓઇલ મંત્રાલયે RIL, શેલ અને ONGC પાસે 3.8 અબજ ડોલરની ઉઘરાણી કરી છે.

પન્ના મુક્તા તાપ્તી (PMT) ક્ષેત્રોમાંથી થયેલા નફાની રકમના ભાગરૂપે સરકારે ત્રણેય કંપનીઓને પેમેન્ટ કરવાનો આદેશ આપ્યો છે એમ આ બાબતથી પરિચિત લોકોએ જણાવ્યું હતું. આ રકમ ત્રણેય કંપનીએ ભાગીદારીમાં વહેંચવાની રહેશે, જેનો આધાર આ ક્ષેત્રોમાં તેમના હિસ્સા પર રહેલો છે. PMTમાં ONGC સૌથી વધુ 40 ટકા, RIL 30 ટકા અને શેલ 30 ટકા હિસ્સો ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે, PMT ક્ષેત્રો માટે સરકાર અને કોન્ટ્રાક્ટર વચ્ચે 1994માં 25 વર્ષ માટે પ્રોડક્શન શેરિંગ કોન્ટ્રાક્ટ્સ થયા હતા. હવે આ 25 વર્ષનો સમયગાળો પૂરો થવામાં થોડાક મહિના બાકી છે ત્યારે આ ક્ષેત્રોમાં રહેલો ભંડાર ખાલી થઈ ગયો છે અને ઉત્પાદનમાં પણ તીવ્ર ઘટાડો થયો છે.

પન્ના-મુક્તા, મિડ એન્ડ સાઉથ તાપ્તિ કોન્ટ્રાક્ટ વિસ્તારોમાંથી સરકારને ચૂકવવાપાત્ર નફો અને રોયલ્ટીમાં અંગે વિવાદ અને દાવાના સંદર્ભમાં RIL અને BG (હવે શેલ) દ્વારા ડિસેમ્બર 2010માં સરકાર સામે લવાદ કાર્યવાહી કરવામાં આવી હતી. જાહેર ક્ષેત્રની કંપની ONGCને પણ આ કાનૂની પ્રક્રિયાની અસર થવાની હોવા છતાં સરકારે આ કાર્યવાહીમાંથી ONGCને બાકાત રાખી હતી.

ઓક્ટોબર 2016માં આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેને પગલે ઓઇલ મંત્રાલયે ત્રણેય ઓઇલ કંપનીઓએ ચૂકવવાની થતી રકમની ગણતરી કરી હતી અને મે 2017માં તેમને 3.9 અબજ ડોલરનો પ્રોફિટ અને રોયલ્ટી ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કંપનીઓએ આ રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો અને દલીલ કરી હતી કે, આર્બિટ્રેશન ટ્રિબ્યુનલના ચુકાદાને ઇંગ્લિશ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને ચૂકવવાપાત્ર રકમની ગણતરી ટ્રિબ્યુનલ દ્વારા કરવાની બાકી છે.

ચુકાદા સામે RIL અને શેલે ઇંગ્લિશ કોર્ટમાં નવ પડકારો નોંધાવ્યા હતા અને કોર્ટે આ તમામ પડકારોને ફગાવી દીધા હતા પરંતુ એક સ્વીકાર્યો હતો અને ગયા મહિને તેમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટના ચુકાદાના આધારે સરકારે કંપનીઓની પેમેન્ટની રકમની ફરી ગણતરી કરી હતી અને કંપનીઓને નવેસરથી 3.8 અબજ ડોલરની ચુકવણી કરવાનો આદેશ કર્યો હતો. સરકારે ચેતવણી પણ ઉચ્ચારી હતી કે, જો કંપનીઓ સમયસર પેમેન્ટ નહીં ચૂકવે તો વ્યાજ ચડતું જશે.

ઈંગ્લિશ કોર્ટના ચુકાદાને આર્બિટ્રલ ટ્રિબ્યુનલની આગામી સુનાવણીમાં ધ્યાને લેવામાં આવશે. આર્બિટ્રલ પ્રોસેસ હજુ ચાલુ છે અને આથી અત્યારે કોઈ પણ કાર્યવાહી કરવી યોગ્ય નથી. પેમેન્ટની ગણતરી પણ ટ્રિબ્યુનલ દ્વારા કરવાની બાકી છે. એમ ભારતમાં શેલ કંપનીના પ્રવક્તાએ ઇ-મેઇલ પર આપેલી પ્રતિક્રિયામાં જણાવ્યું હતું.

ઓઇલ મંત્રાલયે જવાબ આપ્યો નહોતો જ્યારે ONGCએ જણાવ્યું હતું કે, લવાદ કેસમાં અમે સામેલ ન હોવાથી તેમજ લંડનમાં ઇંગ્લિશ કોર્ટની કાર્યવાહીમાં પણ ONGC સામેલ ન હોવાથી અમારી પાસે તેને લગતી કોઈ વિગતો નથી.

(7:32 pm IST)