Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર સર્જ્યો : 11થી 15 મેં વચ્ચે પીક પર હશે : હજુ 20થી 25 દિવસ ગંભીર : મેના અંતે શાંત પડશે

દેશની અંદર 33થી 35 લાખ જેટલા કોરોનાના એક્ટિવ કેસ હશે; દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને તેલંગણામાં 25થી 30 એપ્રિલ વચ્ચે કોરોના કેસ નવી ઉંચાઇ પર પહોંચશે

દેશમાં અત્યારે કોરોના વાયરસની બીજી લહેરના કારણે હાહાકાર મચ્યો છે. અત્યારે ભારતમાં દરરોજ સામે આવતા નવા કોરોના કેસોએ દુનિયાના તમામ રેકોર્ડ તોડ્યા છે. હેસ્પિટલોમાં જગ્યા નથી, ઓક્સિજન નથી, દવા નથી અને છેલ્લે સ્મશાનમાં પણ વેઇટિંગ છે. ત્યારે એક રિપોર્ટ પ્રમાણે હજુ આવી જ સ્થિતિમાં 20થી 25 દિવસ કાઢવાના છે. આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં કોરોનાની બીજી લહેરનો પીક 11થી 15 મેની વચ્ચે આવશે.

આ દરમિયાન કોરોના વાયરસની આ બીજી લહેર તેના ચરમ પર પહોંચશે. આ દરમિયાન દેશની અંદર 33થી 35 લાખ જેટલા કોરોનાના એક્ટિવ કેસ હશે. આઇઆઇટીના વિજ્ઞાનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ગણીતના મોડેલ પર આધારિત રિપોર્ટ પ્રમાણે મે મહિનાના અંતમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો આવશે. શુક્રવારે દેશમાં 3.23 લાખ કરતા વધારે નવા કેસ આવ્યા છે. તો કોરોનાના કારણે 2263 લોકોના મોત થયા છે.

વર્તમાન સમયે દેશમાં 24.48 લાખ એક્ટિવ કેસ છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક્ટિવ કેસની સંખ્યામાં 10 લખનો વધારો થઇ શકે છે. આઇઆઇટી કાનપુર અને હૈદરાબાદના વિજ્ઞઆનીઓએ પોતાના મોડેલ માટે SUTRA (Susceptible, Undetected, Tested (positive), and Removed Approach) ફોર્મ્યુલા અપનાવ્યો છે.

વિજ્ઞાનીઓએ કહ્યું દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને તેલંગણામાં 25થી 30 એપ્રિલ વચ્ચે કોરોના કેસ નવી ઉંચાઇ પર પહોંચશે. જયારે મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં તો કોરોના કેસ પહલાથી જ ઉંચાઇ પર પહંચી ગયી છે.

આ પહેલા ગણિતના મોડલ અનુસાર એવું અનુમાન લગાવામાં આવ્યું હતું કે દેશમાં 15 એપ્રિલ સુધીમાં કોરોના વાયરસની બીજી લહેર તેના ચરમ પર પહોંચી જશે. જોકે તે અનુમાન ખોટું પડ્યું છે. વિજ્ઞાનીઓએ કહ્યું કે અત્યારે પણ જે અનુમાન લગાવવામાં આવ્યું તે સંપૂર્ણ સત્ય જ હોય તેવો દાવો ના કરી શકાય. તેનું કારણ છે કે દરરોજ માપંદડ બદલાઇ રહ્યા છે અને ચિંતાજનક વાત તો એ છે કે કોરોના વાયરસ પ્રતિદિવસ પોતાના સ્વરૂપમાં પરિવર્તન કરી રહ્યો છે.

આમ 15 મે પછી કદાચ કોરોનાની બીજી લહે પોતાની પીક પર પહોંચ્યા પછી કેસોમાં ઘટાડો નોંધાઈ શકે છે. ત્યાર સુધી દેશમાં ઓક્સિજન અને વેન્ટિલેટર સહિત રેમડેસિવીર જેવા ઈન્જેક્શનના સુવિધાઓના અભાવના કારણે ભયાનક સ્થિતિ બનેલી રહી શકે છે

(12:00 am IST)