Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

શશિ થરૂરે પ્રિયંકા ગાંધીની પ્રચાર સ્‍ટાઇલના બે મોઢે વખાણ કર્યા : જોકે રાહુલ તરફી લોકોને આ વાત નહિ ગમે

તિરુવનંતપુરમ: છેલ્લા કેટલાક વર્ષોથી પ્રિયંકા ગાંધી વાડ્રાને રાજકારણના મુખ્ય પ્રવાહમાં લાવવાની માગણીઓ ઉઠતી હતી, જેમાં વિશેષજ્ઞો હંમેશા કહેતા રહ્યાં કે તેમના આવવાથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની છબીને નુકસાન પહોંચશે. હવે રાહુલ ગાંધી પોતે પ્રિયંકાને મોટી જવાબદારી સાથે રાજકારણમાં લઈ આવ્યાં છે. એવામાં જૂની વાતોનો ઉલ્લેખ ફરી થવાનો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના પૂર્વાંચલના ભાગમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે.

આ દરમિયાન કોંગ્રેસના સાંસદ અને ગાંધી પરિવારના નીકટ ગણાતા શશિ થરૂરે પ્રિયંકા ગાંધી વિશે એવી વાત કરી કે જેનાથી પાર્ટીમાં રાહુલ ગાંધીના પ્રિયજનોને પરેશાની થઈ શકે છે. થરૂરે કહ્યું કે પ્રિયંકાની સફળતાથી પાર્ટીમાં તેમનો પ્રભાવ પડશે.

કોંગ્રેસ નેતા શશિ થરૂરે એટલે સુધી કહ્યું કે અત્યાર માટે ઉત્તર પ્રદેશ પ્રિયંકા ગાંધી વાડ્રાની કર્મ ભૂમિ છે. પરંતુ પાર્ટીમાં આગળ તેમનો પ્રભાવ હજુ વધશે. પ્રિયંકા (47)ને ચાલુ વર્ષે 23 જાન્યુઆરીના રોજ યુપીના એઆઈસીસી મહાસચિવ તરીકે નિયુક્ત કરાયા. આ સાથે જ તેમણે રાજકારણમાં ઔપચારિક રીતે પ્રવેશ કરી લીધો. પાર્ટીને આશા છે કે તેનાથી રાજકીય રીતે મહત્વપૂર્ણ રાજ્યમાં તેમની સંભાવનાઓને બળ મળશે. યુપીમાં લોકસભાની 80 બેઠકો છે.

થરૂરે કહ્યું કે તેઓ (પ્રિયંકા) ખુબ પ્રભાવશાળી મહિલા છે, જે સારું બોલે છે, આત્મવિશ્વાસ, કહેવતોની સાથે વાત કરે છે. તેઓ જનતાની સામે ખુબ સહજ છે અને અનેક લોકોને તેમને જોઈને તેમના દાદીની યાદ આવે છે. તેમણે કહ્યું કે વિનમ્રતાથી કહી શકાય છે કે તેઓ હાલ અડધા ઉત્તર પ્રદેશના મહાસચિવ છે અને તે તેમની કર્મભૂમિ થવા જઈ રહી છે.

કોંગ્રેસના નેતાએ કહ્યું કે ત્યાં તેઓ તત્કાળ સંભાવનાઓને શોધવાનું કામ કરશે પરંતુ ભવિષ્યનું વિચારતા મને લાગે છે કે પાર્ટીમાં તેમનો પ્રભાવ વધશે અને લોકો વચ્ચે તેઓ પહેલેથી જ લોકપ્રિય થઈ ગયેલા છે.

વિભિન્ન રાજ્યોમાં કોંગ્રેસના ચૂંટણી ગઠબંધનો પર થરૂરે કહ્યું કે તે દરેક રાજ્ય પર અલગ અલગ રીતે નિર્ભર કરશે. દરેક રાજ્ય માટે અલગ તર્ક છે. અમારે કેટલાક રાજ્યોમાં કેટલીક પાર્ટીઓ સાથે સંભવિત ગઠબંધન છે અને બીજા રાજ્યમાં અમે તેમની સામે લડી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને માકપા વચ્ચે ગઠબંધનમાં કઈ ખોટું નથી.

જો કે બંને પાર્ટીઓ વચ્ચે કેરળમાં કાંટાની ટક્કર છે પરંતુ રાષ્ટ્રીય નેતૃત્વ પશ્ચિમ બંગાળમાં કેટલાક સમાધાન પર રાજી થયું છે. ભાજપ આ બંને પાર્ટીઓ પર બેવડા માપદંડ અપનાવવાનો આરોપ લગાવી રહ્યો છે. થરૂરે કહ્યું કે તેમાં કશું ખોટું નથી. આ પહેલીવાર નથી. વર્ષ 2016માં કેરળ વિધાનસભા ચૂંટણીમાં તેમણે (ભાજપ) એવી જ કોશિશ કરી હતી પરંતુ અમારો તેમના વિરુદ્ધ મુકાબલો કડક રહ્યો

(3:51 pm IST)