Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

લાલુની જાનને ખતરો રહેલો છે : તેજસ્વીએ કરેલો દાવો

ચુકાદા સામે હાઈકોર્ટમાં અપીલ કરવાની જાહેરાતઃ આરજેડી પ્રમુખની વિરુદ્ધ ભાજપે કાવતરુ ઘડ્યુ : તેજસ્વી

નવી દિલ્હી,તા. ૨૪: ઘાસચારા કૌભાંડના ચોથા મામલામાં આરજેડી પ્રમુખ લાલુ યાદવને સીબીઆઈની ખાસ અદાલત દ્વારા સાત સાત વર્ષની સજા ફટકારવામાં આવ્યા બાદ તેમના પુત્ર અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું હતું કે, તેઓ આ ચુકાદાની સામે હાઈકોર્ટમાં અપીલ કરશે. તેજસ્વીએ કહ્યું હતું કે, તેમના પિતાની જાન સામે ખતરો રહેલો છે. આરજેડી પ્રમુખની સામે ભાજપ દ્વારા કાવતરા ઘડવામાં આવી રહ્યા છે. ચુકાદો આવ્યા બાદ પટણામાં પત્રકારો સાથે વાતચીત કરતા તેજસ્વીએ કહ્યું હતું કે, અમે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર ફેકવા જઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, ચારેય ચુકાદામાં અભ્યાસ કર્યા બાદ આગળની રણનિતી ઘડી કાઢવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે લાલુની જાનને ખતરો રહેલો છે. આવી શંકા થઈ રહી છે. બીજી બાજુ લાલુને કઠોર સજા ફટકારવામાં આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી ગીરીરાજ સિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કોર્ટ પોતાની રીતે કામ કરે છે. તેઓ આ મુદ્દે ટીપ્પણી કરવા માંગતા નથી. તેમણે ઉમેર્યું હતું કે, આ કોઈ પાર્ટીનો ચુકાદો નથી કોર્ટનો ચુકાદો છે. જેવા કામ કરેલા છે તેવા કામ બદલ હવે સજા થઈ રહી છે. બીજી બાજુ તેજસ્વીના આક્ષેપોનો જવાબ આપતા બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિને પોલીસ કસ્ટડીમાં હોવા છતા પોતાની જાનને ખતરો લાગે છે તો તે વ્યક્તિને કોર્ટમાં અપીલ કરવી જોઈએ. તેમને કયા પ્રકારના ખતરા છે. જ્યારે કોઈ વ્યક્તિને મળવાની પરવાનગી મળી રહી નથી ત્યારે કયા પ્રકારનો ખતરો હોઈ શકે છે. અત્રે નોંધનીય છે કે,સમગ્ર દેશને હચમચાવી મુકનાર અને રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જનાર  ઘાસચારા કોંભાડના ચોથા કેસમાં પણ આરજેડીના નેતા અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ યાદવને આજે સીબીઆઇની અદાલતે સાત-સાત વર્ષની સજા ફટકારી હતી.

(7:21 pm IST)