Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

મંદિરોમાં સરકાર અગ્નિશમન અને પ્રાથમિક સારવારના સાધનો આપશે

ગુજરાતના મંદિરોને પ્રથમ વખત સરકારની ભેટઃ ૧૦૦ ઇ રીક્ષા આપવામાં આવીઃ સરકાર હસ્તકના મંદિરોમાં સોલાર રૂકટોપ સિસ્ટમઃ મંદિરોના વિકાસ માટે સૂચનો મોકલો

રાજકોટ, તા. ર૪ :  ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામોના વિકાસ માટેના એક પછી એક આયોજન થઇ રહ્યા છે. શ્રવણ તીર્થ યોજના, ઇ-રીક્ષા યોજના, વોટર એ.ટી.એમ. બાદ હવે સરકારે દરેક  મંદિરમાં ફાયર સેફટી અને પ્રાથમિક સારવારના સાધનો વિનામૂલ્યે આપવાનું આયોજન હાથ પર લીધુ છે. પ્રથમ તબક્કે સરકાર હસ્તકના મંદિરોમાં આ સુવિધા અપાશે.

મંદિરોમાં ભાવિકોની અવરજવર મોટા પ્રમાણમાં રહેતી હોય છે કયારેક આગ જેવો બનાવ જોખમી સાબિત થઇ શકે છે. આવા સમયે અગ્નિશમનના સાધનો ઉપયોગી થઇ શકે તેથી સરકારે મંદિરોને જરૂરીયાત મજુબના અગ્નિશમન સાધનો આપવાનું નક્કી કર્યુ છે. ઉપરાંત ભાવિકોના લાભાર્થે પ્રાથમિક સારવારની સુવિધા અપાશે. આ યોજના એપ્રિલ-ર૦૧૮ થી અમલમાં આવશે.

સરકાર દ્વારા મોટા મંદિરો માટે 'ઇ રીક્ષા' આપવાની યોજના અમલમાં મુકી છે. તે અંતર્ગત રાજયના વિવિધ મંદિરોમાં ૧૦૦ રીક્ષા આપી દીધી છે. ખાનગી મંદિરને ઇ રીક્ષા માત્ર ૩૦ ટકા રકમથી  મળી શકે છે. સરકાર હસ્તકના મંદિરો માટે વોટર એ.ટી.એમ. યોજના પણ છે. સરકારે ર૦૦ વર્ષથી  જુના મંદિરોના વિપક્ષ માટે ખાસ કાર્યક્રમ બનાવ્યો છે.

કોઇપણ નાગરિકને કોઇ મંદિરના વિકાસ માટે કંઇ સૂચનો હોય તો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની કચેરી, બ્લોક નં. ૬/ર, શ્રી જીવરાજ મહેતા ભવન, જુના સચિવાલય, ગાંધીનગર ફોન નં. ૦૭૯-ર૩રપર૪પ૯ ઉપર મોકલી શકે છે. સરકાર સુચનોને આવકારે છે. (૯.પ)

(11:38 am IST)