Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

પહેલી માર્ચથી ૬૦ વર્ષથી વધુના લોકોને કોવિડ-૧૯ની રસ અપાશે

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની મહત્વપૂર્ણ જાહેરાત : સરકારી કેન્દ્રો ઉપર રસીકરણ નિઃ શુલ્ક રહેશે, ખાનગી કેન્દ્રો, હોસ્પિટલોમાં રસીની કિંમત ચૂકવવાની રહેશે, બે-ત્રણ દિવસમાં કિંમત જાહેર કરશે

નવી દિલ્હી, તા. ૨૪ : કોરોના રસીકરણ અભિયાનનો બીજો તબક્કો ૧ માર્ચથી શરૂ થશે. આમાં ૬૦ વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે બુધવારે કહ્યું કે આવા લોકોની સંખ્યા ૧૦ કરોડથી વધુ છે. જાવડેકરે જણાવ્યું હતું કે, બીજા તબક્કામાં ૧૦,૦૦૦ સરકારી કેન્દ્રો અને ૨૦,૦૦૦થી વધુ ખાનગી કેન્દ્રો પર રસી આપવામાં આવશે. કેબિનેટ બ્રીફિંગ દરમિયાન જાવડેકરે જણાવ્યું હતું કે, સરકારી કેન્દ્રો પર રસીકરણ નિઃ શુલ્ક રહેશે. જો કે, ખાનગી કેન્દ્રો / હોસ્પિટલોમાં રસીની કિંમત ચૂકવવાની રહેશે. આ કિંમત કેટલી હશે? તેનો નિર્ણય આરોગ્ય મંત્રાલય લેશે. રસીકરણના બીજા તબક્કામાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકો પણ શામેલ હશે, જે કો-મોર્બિડ છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 'સરકારી હોસ્પિટલોમાં રસી મફત હશે અને ખાનગીમાં રસી લેનારાઓને કિંમત ચૂકવવી પડશે. આરોગ્ય વિભાગ બે-ત્રણ દિવસમાં કિંમત જાહેર કરશે. હવે તમામ સંબંધિત ઉત્પાદકો અને હોસ્પિટલો સાથે ચર્ચા કરવામાં આવશે.'

ભારતમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને કો-મોર્બિડિટીઝનો સામનો કરતા લોકોને રસી માટે સેલ્ફ રજિસ્ટ્રેશન કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. આ લોકો તે સ્થાનને પણ પસંદ કરી શકશે જ્યાં તેમને રસી લેવાની છે. આ માટે મોબાઇલ એપ્લિકેશનમાં બદલાવ કરવામાં આવ્યા છે. અગાઉ ૫૦ વર્ષથી વધુ ઉંમરનાને નોંધણી કરાવી દેવાની ચર્ચા થઈ હતી, પરંતુ તે વધારીને ૬૦ વર્ષ કરી દેવામાં આવી કારણ કે તેઓ વધુ જોખમી છે. રસીકરણનું પ્રમાણપત્ર કોવિન અને ડિજિલોકર જેવા સરકારી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે.

એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, આગામી તબક્કામાં સરકારની દરરોજ ૫૦ હજાર લોકોને રસી આપવાની યોજના છે. આજ સુધીમાં દેશભરમાં ૧.૦૭ કરોડ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારો રસી અપાઈ છે. સૂત્રએ જણાવ્યું હતું કે આગામી તબક્કામાં આશરે ૪૦થી ૫૦ ટકા રસીકરણ ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવશે. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કેન્દ્રશાસિત પ્રદેશો લક્ષદ્વીપમાં ૭૫ ટકાથી વધુ આરોગ્ય અને આગળના કામદારો રસી અપાઈ છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોના રસીકરણની ગતિ વધારવા જણાવ્યું છે.

(7:23 pm IST)