Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

કેરાલામાં CPMના ૯૮ કાર્યકરોને ભાજપનું સભ્યપદ

ડાબેરીના ગઢમાં ગાબડા પાડવાની ભાજપના પ્રયાસ : હજુ ડાબેરીઓ-કોંગ્રેસ નેતા ભાજપમાં જોડાય તેવો દાવો

તિરૂવનંતપુરમ, તા. ૨૪ : કેરાલા પરંપરાગત રીતે ડાબેરીઓનો ગઢ મનાય છે અને તેમાં ગાબડુ પાડવા માટે પણ ભાજપે ભરપૂર પ્રયાસો શરુ કરી દીધા છે.

ભારતમાં સંખ્યાબંધ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ પૂરા કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર મેટ્રો મેન શ્રીધરન ભાજપમાં જોડાયા બાદ હવે સીપીએમના ૯૮ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.મંગળવારે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીની હાજરીમાં આ કાર્યકરોએ ભાજપનુ સભ્યપદ ગ્રહણ કર્યુ હતુ.કેરાલા ભાજપનો દાવો છે કે, હજી પણ ડાબેરીઓ અને કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાવાના છે.

આ પહેલા કેરાલા ભાજપના અધ્યક્ષ કે સુરેન્દ્રને પણ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, કેરાલા બીજુ ત્રિપુરા બનશે અને કેરાલામાં ભગવા લહેરને કોઈ રોકી નહીં શકે. ઉલ્લેખનીય છે કે, કેરાલામાં એપ્રિલ- મે મહિનામાં ચૂંટણીઓ યોજાવાની છે.કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ મંગળવારે કહ્યુ હતુ કે, કોંગ્રેસ અને ડાબેરીઓએ ભ્રષ્ટાચાર ,પરિવારવાદ  અને કૌભાંડોથી કેરાલાને બરબાદ કરી નાંખ્યુ છે.કેરાલાને આત્મ નિર્ભર બનાવવા આ બંને પાર્ટીઓને હટાવવી પડશે.

તેમણે રાહુલ ગાંધી પર પણ ટોણો મારતા કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી ટ્રેકટર પર બેસીને એક્ટર બનવાનો પ્રયત્ન કરી રહયા છે.તેમની કોંગ્રેસ પાર્ટી અને ડાબેરીઓ વચ્ચે કેરાલામાં કુશ્તી ચાલી રહી છે અને દિલ્હીમાં તેઓ એક બીજાના દોસ્ત છે.

(7:22 pm IST)