Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસ સાપથી માણસના શરીરમાં પહોંચવાની શક્યતા

બેઇજિંગઃ ચીનના વુહાનમાં સૌથી પહેલા સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (સાર્સ) રોગ જેવા રહસ્યમય કોરોના વાયરસનો પ્રથમ મામલો સામે આવ્યો હતો. આ વાયરસનો હજુ સુધી કોઈ ઈલાજ નથી. શ્વાસ સંબંધી બીજી બિમારીઓની જેમ તાવ, શરદી અને શ્વાસ લેવામાં તકલિફ આ રોગના લક્ષણ છે. આ ન્યૂમોનિયાનું કારણ પણ બની શકે છે.

સાપથી માણસમાં વાયરસ પહોંચવાની આશંકા

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ચીનના પેકિંગ યુનિવર્સિટીના હેલ્થ સાયન્સ સેન્ટરના સંશોધનકારો અનુસાર ,નવા પ્રકારનો કોરોના વાયરસ સાપથી માણસમાં પહોંચવાની આશંકા છે. જ્યારે ચીની એકેડમી ઓફ સાયન્સ તરફથી કરવામાં આવેલા બીજા અભ્યાસમાં તે દાવો કરવામાં આવ્યો કે કોરોના વાયરસનો ઉદ્ભવ ચામાચીડિયું કે સાપ હોઈ શકે છે.

ચીનથી લઈને અમેરિકા સુધી વાયરસનો પ્રકોપ, અત્યાર સુધી 17ના મોત

શ્વાસ લેવામાં મુશ્કેલીને કારણે આ વાયરસ ચીનના ઘણા શહેરોને પોતાની ઝપેટમાં લીધા બાદ અમેરિકા સુધી પહોંચી ગયો છે. ચીનમાં આ વાયરસના પ્રકોપથી અત્યાર સુધી 17ના મોત થયા છે અને આશરે 600 લોકો ચેપગ્રસ્ત જણાવવામાં આવી રહ્યાં છે.

વુહાનમાં ચાર હજાર મામલાનું અનુમાન

ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે બુધવાર સુધી કોરોના વાયરસ ચેપગ્રસ્તના 571 મામલાની ખાતરી કરી છે. પરંતુ ઇમ્પીરિયલ કોલેજ લંડને પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, માત્ર વુહાનમાં વાયરસ ચેપગ્રસ્તના આશરે 4 હજાર મામલા હોવાનું અનુમાન છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરવા માટે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. આ પ્રકારની જાહેરાત થવા પર કોરોના વાયરસના પ્રકોપથી બચવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસમાં ગતિ આવશે.

ભારત સહિ વિશ્વના એરપોર્ટ પર થઈ રહી છે તપાસ

કોરોના વાયરસને રોકવાના પ્રયાસમાં ભારત સહિત લગભગ વિશ્વના એરપોર્ટ પર ચીનથી આવનારા વ્યક્તિઓની તપાસ કરવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયા અને બ્રિટન સહિત ઘણા દેશોએ પોતાના નાગરિકોને વુહાન ન જવાની સલાહ આપી છે.

તેનો ચેપ લાગતા તાવ, શરદી, ઉધરસ, શ્વાસ લેવામાં મુશ્કેલી, નાકમાંથી પાણી નિકળવું અને ગળું ખરાબ થવા જેવી સમસ્યા ઉભી થાય છે. તો બીજીતરફ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસના ચેપથી બચવા અથવા તેનો ઓછો કરવા માટે કેટલિક સાવધાની રાખવાનું કહ્યું છે, જેને સંયુક્ત રાષ્ટ્રએ ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં કોરોના વાયરસના ચેપના ખતરાને ઓછો કરવાના ઉપાય દર્શાવવામાં આવ્યા છે.

1. તમારા હાથ સાબુ અને પાણી કે આલ્કોહોલ યુક્ત હેન્ડ રબથી સાફ કરો.

2. ઉધરસ કે છીંક ખાવા સમયે પોતાના નાક અને મોઢાને ટિશ્યૂ કે કોણી વાળીને ઢાંકો.

3. જેને શરદી કે ફ્લૂ જેવા લક્ષણ હોય, તેની સાથે નજીકનો સંપર્ક બનાવવાથી બચો.

4. માચ અને ઇંડાને સારી રીતે પકાવો.

5. જંગલ અને ખેતરમાં રહેતા જાનવરોની સાથે અસુરક્ષિત સંપર્ક ન બનાવો. 

(4:41 pm IST)