Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ઈઝરાયેલમાં મોટું રાજકીય સંકટ

બેન્જામિન સરકાર તુટી પડી : બે વર્ષમાં ચોથી ચૂંટણી ભણી દેશ

 જેરૂસેલમ,તા.૨૩ : ઈઝરાયેલમાં રાજકીય સંકટ ઊભું થયું છે. પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહની ગઠબંધન સરકાર બજેટ રજુ કરવામાં નિષ્ફળ જતા સંસદને ભંગ કરવામાં આવી છે. આમ ઈઝરાયેલમાં માત્ર બે વર્ષમાં ચોથી ચૂંટણી યોજાય તેવી પ્રબળ શકયતા ઊભી થઈ છે. ગઠબંધન સરકારના સહયોગી અને રક્ષામંત્રી બેની ગેન્ટ્ઝએ નેતન્યાહૂ પર વચન તોડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે દેશમાં નવી ચૂંટણી કરાવવામાં આવે તે જ સારું રહેશે. નોંધનીય છે કે ડિસેમ્બરની શરૂઆતમાં સંસદ ભંગ કરવાનો પ્રસ્તાવ રજુ કરાયો હતો. તેના પક્ષમાં ૬૧ મત પડ્યા હતા.

 સંસદ ભંગ થયા બાદ કહેવાય છે કે ઈઝરાયેલમાં આગામી વર્ષ માર્ચમાં ચોથીવાર સામાન્ય ચૂંટણી કરાવવામાં આવશે. બેન્જામિન નેતન્યાહૂ સરકાર પાસે ૨૦૨૦ બજેટ પાસ કરવા માટે માત્ર ગણતરીના કલાકો બાકી છે. જો સરકાર તેમા નિષ્ફળ જશે તો બંધારણીય રીતે સંસદ ભંગ ગણવામાં આવશે અને ત્યારબાદ ફરીથી ચૂંટણી કરાવવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે.

 નેતન્યાહૂ લિકુડ પાર્ટીના અધ્યક્ષ છે. જયારે ગેન્ટ્ઝ બ્લ્યુ એન્ડ વ્હાઈટ પાર્ટી સાથે જોડાયેલા છે. એપ્રિલમાં બંને પક્ષોએ એક જોઈન્ટ કરાર હેઠળ સરકાર બનાવી હતી. જો કે જલદી બે પક્ષો વચ્ચે મતભેદો સામે આવવા લાગ્યા. ગેન્ટ્ઝનું કહેવું છે કે બેન્જામિન નેતન્યાહૂ વચન તોડી રહ્યા છે. પરંતુ પ્રધાનમંત્રીએ આ આરોપો ફગાવ્યા. બંને વચ્ચે તાજો વિવાદ બજેટને લઈને છે. ગેન્ટ્ઝે માગણી કરી હતી કે ૨૦૨૦ અને ૨૦૨૧ બંનેને કવર કરતા એક બજેટ પાસ કરવામાં આવે. જેથી કરીને સ્થિરતા જળવાઈ રહે. પરંતુ પ્રધાનમંત્રી તેના માટે તૈયાર થયા નહીં. નેતન્યાહૂના સમર્થકોનું કહેવું છે કે ગેન્ટ્શનો આ પ્રસ્તાવ ફકત સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર છે. તેઓ નેતન્યાહૂને હટાવીને પોતે પ્રધાનમંત્રી બનવા માંગે છે.

પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ માટે મુશ્કેલ સમય છે. તેમના પર પહેલેથી ભ્રષ્ટાચારના આરોપ છે અને લાંબા સમયથી તેમના વિરુદ્ઘ પ્રદર્શનો પણ થઈ રહ્યા છે. આવામાં જો ચૂંટણી થાય તો નેતન્યાહૂ માટે ફરીથી સત્ત્।ામાં આવવું મુશ્કેલ બની જશે. ડિસેમ્બેરની શરૂઆતમાં વિપક્ષ દ્વારા ૧૨૦ સભ્યોના સદનમાં સંસદ ભંગ કરવાનો પ્રસ્તાવ રજુ કરાયો હતો. જેના પક્ષમાં ૬૧ અને વિરોધમાં ૫૪ મત પડ્યા હતા. ત્યારબાદ પ્રસ્તાવ પર ચર્ચા માટે વિધાયી સમિતિને મોકલવામાં આવ્યો હતો.

 ગેન્ટ્ઝે આરોપ લગાવ્યો છે કે જયારથી સરકાર બની છે ત્યારથી પ્રધાનમંત્રી ગઠબંધનના વચનને નિભાવી રહ્યા નથી. તેમણે હાલમાં જ કહ્યું હતું કે ગઠબંધન સહયોગીઓને ખબર હોવી જોઈએ કે તેમના નેતા શું કરી રહ્યા છે. હાલાત એટલા બગડી ચૂકયા છે કે અમારી પાસે હવે કોઈ રસ્તો નથી. તેમણે એમ પણ કહ્યું કે હવે જો સરકાર બચાવવાની અને ગઠબંધન બચાવવાની કોઈ જવાબદારી છે તો તે નેતન્યાહૂની છે. તેમણે હવે નક્કી કરવું પડશે કે તેઓ શું ઈચ્છે છે.

(11:06 am IST)