Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

કોરોના રસીના વિતરણની રણનીતિ પણ ઘડાશે

કોરોનાની વર્તમાન સ્થિતીની સમીક્ષા કરવા ફરી રાજ્યો સાથે બેઠક કરી શકે છે પીએમ

નવી દિલ્હી,તા.૨૩: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કોવિડ-૧૯ની હાલની સ્થિતિની સમીક્ષા અને વેકસીન વિતરણની રણનીતિને લઈને મુખ્યમંત્રીઓ અને રાજય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના અન્ય પ્રતિનિધિઓ સાથે મંગળવારે ડિજિટલ માધ્યમથી બેઠક કરી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પીએમ મોદી એક બેઠક તે આઠ રાજયોની સાથે કરી શકે છે જયાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. બીજી બેઠકમાં તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદશોથી વેકસીન વિતરણની રણનીતિ પર ચર્ચા સંભવિત છે. વડાપ્રધાન મોદી કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે અત્યાર સુધી અનેકવાર રાજયો સાથે બેઠક કરી ચૂકયા છે.

દેશભરમાં કોરોના વાયરસ સંક્રમણના મામલા છેલ્લા થોડાક દિવસોમાં ૫૦ હજારથી નીચે આવી રહ્યા છે, બીજી તરફ રાજયોમાં મામલા ઝડપથી વધ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત દેશના કેટલાક શહેરોમાં રાતનો કર્ફ્યૂ લાગી કરી દેવામાં આવ્યો છે. કેન્દ્ર તરફથી સતત એવો પ્રયાસ પણ થઈ રહ્યો છે કે જયારે પણ કોરોના વેકસીન ઉપલબ્ધ થશે, તેનું યોગ્ય વિતરણ થઈ શકે. ભારતમાં હાલ પાંચ વેકસીન તૈયાર થવાની દિશામાં કામ આગળ વધી રહ્યું છે. તેમાંથી ચાર પરીક્ષણ બીજા કે ત્રીજા ચરણમાં છે જયારે એક પહેલા કે બીજા ચરણમાં છે.

નોંધનીય છે કે, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, પંજાબ, હરિયાણા સહિત દેશના અનેક રાજયોમાં રવિવારે કોવિડ-૧૯ના નવા કેસ સામે આવ્યા અને બીમારીના કારણે દર્દીઓના મોત પણ થયા છે. વિવિધ રાજયોના સ્વાસ્થ્ય વિભાગોએ આ જાણકારી આપી. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના સંક્રમણના ૫૭૫૩ નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૧૭,૮૦,૨૦૮ થઈ ગઈ છે, જયારે ૫૦ દર્દીઓનાં મોત થયા બાદ મૃતકોની કુલ સંખ્યા ૪૬૬૨૩ થઈ ગઇ છે.

દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં વધારો દેખાઈ રહ્યો છે. ત્યારે રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪૯૫ લોકો કોરોના સંક્રમિત થયા છે. આમ રાજયમાં કુલ સંખ્યા ૧૯૭૪૧૨હ્ય્ પહોંચી છે. જયારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૩ લોકોના કોરોનાથી મોત  થયા છે. આમ મૃત્યું આંક ૩૮૫૯એ પહોંચ્યો છે. રાજયમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ૧૪૯૫ કેસ નોંધાયા છે. જયારે ૧૧૬૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં રાજયમાં કુલ ૧૭૯૯૫૩ દર્દીઓ સાજા થયા છે. રાજયનો સાજા થવાનો દર ૯૧.૧૬ થયો છે.

(10:09 am IST)