Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ભાજપ અને એનસીપીની ગેમમાં

શિવસેનાની હાલત 'ના ઘરના, ના ઘાટના' જેવી થઈ ગઈ

મુંબઈ, તા.૨૩: મહારાષ્ટ્રના રાજકારણમાં રાતોરાત અણધાર્યો વળાંક આવ્યો છે. શનિવારે સવારે દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદની શપથ લઈ લેતા શિવસેનાના સપનાં પર પાણી ફરી વળ્યું છે. શુક્રવાર સાંજ સુધી કોંગ્રેસ અને એનસીપીના સહયોગથી શિવસેનાની સરકાર બનશે તેવી ચર્ચા હતી, પરંતુ શનિવારની સવારે તો આખો ખેલ જ પલ્ટાઈ ગયો, જેનાથી શિવસેનાના નેતાઓ પણ અવાક બની ગયા છે.

શુક્રવારે સાંજ સુધીમાં શિવસેનાના નેતા સંજય રાઉત ઉદ્ઘવ ઠાકરેના સીએમ બનવાની સંભાવના વ્યકત કરી હતી. મીડિયામાં પણ એવી ચર્ચા હતી કે શિવસેનાના નેતા શનિવારે રાજયપાલને મળી રાષ્ટ્રપતિ શાસનને હટાવવાની માગ કરી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. જોકે, ભાજપે પોતાની પૂર્વ સહયોગી પાર્ટી શિવસેના વિરુદ્ઘ એવો દાવ રચ્યો છે કે તેના હાથમાં કશુંય ન આવ્યું.

સીએમની ખુરશીના ખ્વાબમાં મ્હાલી રહેલી શિવસેના માટે આ સમગ્ર સ્થિતિમાં નીચાજોણું થયું હોય તેવો દ્યાટ સર્જાયો છે. હાલ તો એવા સંજોગો સર્જાયા છે કે શિવસેર્નીાના હાથમાં વિરોધ પક્ષના નેતાનું પદ પણ આવશે કે કેમ તે નક્કી નથી. શું શિવસેના રાજકીય આટાપાટા રમવામાં કાચી પડી, પુત્રમોહમાં ઉદ્ઘવ ઠાકરે મોટી ભૂલ કરી બેઠા કે પછી શિવસેનાના કહેવાતા સીનિયર નેતાઓએ ઠાકરેને ગેરમાર્ગે દોર્યા જેવા અનેક પ્રશ્નો ચર્ચાસ્પદ બન્યા છે.

શુક્રવારે કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાની બેઠક બાદ શરદ પવારે પણ કહ્યું હતું કે ઉદ્ઘવ ઠાકરે સીએમ બનશે. જોકે, કોંગ્રેસ સીએમ પદને લઈને ત્યારે પણ સ્પષ્ટ નહોતી પરંતુ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પૃથ્વીરાજ ચવ્હાણે શુક્રવારની મીટિંગ બાદ ત્રણેય પાર્ટીઓએ ગઠબંધનની સરકારને લઈને સકારાત્મક વલણ દર્શાવ્યું હતું. એમ પણ મનાઈ રહ્યું છે કે, મંત્રાલયની વહેંચણી લઈને પણ વાત ફાઈનલ થઈ ગઈ હતી, અને શનિવારે સરકાર બનાવવાની કવાયત શરુ થઈ જશે.

(3:43 pm IST)