Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ઝારખંડના લાતેહારમાં નકસલી હુમલોઃ ૪ પોલીસ કર્મચારીઓ શહીદ

શહીદ થયેલા કર્મીઓમાં એક સબ ઇન્સ્પેકટર રેન્કના અધિકારી સામેલ

રાંચી, તા.૨૩: ઝારખંડના લાતેહારમાં શુક્રવારે રાત્રે નકસલી હુમલામાં ૪ પોલીસ કર્મચારીઓ શહીદ થયા છે. હુમલામાં ઘાયલ એક પોલીસ કર્મચારી ગંભીર હાલતમાં છે જે સારવાર હેઠળ છે. અધિકારીઓ મુજબ નકસલીઓએ શુક્રવાર રાત્રે આશરે ૮.૩૦ કલાકે પોલીસ ટૂકડીના વાહન પર હુમલો કર્યો હતો.

અધિકારીના જણાવ્યા મુજબ નકસલીઓના અચાનક હુમલાનો વળતો પ્રહાર કરવા કે સ્વબચાવ માટે પોલીસ કર્મચારીઓ તૈયાર ન હતા, જેના કારણે નુકસાન થયું હતું. તેમના મુજબ શહીદ પોલીસ કર્મચારીઓમાં એક સબ ઇન્સ્પેકટર રેન્કના અધિકારી હતા.

આ પહેલા જૂન મહિનામાં પણ ઝારખંડના સરાયકેલા-ખરસાવાં ખાતે નકસલીઓએ પોલીસ કર્મચારીઓને નિશાન બનાવ્યા હતા, એ હુમલામાં પાંચ પોલીસ કર્મચારીઓ શહીદ થયા હતા. હુમલામાં હોમગાર્ડના કેટલાત જવાન પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.(૨૩.૩)

(10:23 am IST)