Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

અયોધ્યામાં તોગડિયાના સમર્થકો-પોલીસ વચ્ચે ઘર્ષણઃ અનેક કાર્યકરો થયા ઘાયલ

ટેન્શનનો માહોલઃ ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા : સમજાવટ બાદ તોગડિયાએ રામકોટની પરિક્રમાનો કાર્યક્રમ રદ કર્યો

લખનૌ તા. ર૩: રામમંદીર નિર્માણની માંગણી લઇને અયોધ્યા પહોંચેલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (એએચપી) ના પ્રમુખ ડો. પ્રવિણભાઇ તોગડીયાએ તંત્રની મુશ્કેલી વધારી છે. ગઇકાલે અહિયા તોગડીયાએ જીલ્લા તંત્રની પરવાનગી વગર સરયૂ તટ ઉપર સભા કરવા પહોંચ્યા હતા. ત્યારે આજે રામકોટ પરીક્રમા અને સરયૂ તટ ઉપર સંકલ્પ સભાની તૈયારીને જોતા અયોધ્યામાં હાઇએલર્ટ જાહેર કરી દેવાયેલ. જો કે બાદમાં તંત્રની અપીલ અને સમજાવટ બાદ તોગડીયાએ રામકોટની પરિક્રમાનો કાર્યક્રમ રદ્ કરેલ.

 હવે ડો. પ્રવિણ તોગડીયા સરયૂ તટ ઉપર સંકલ્પ સભા કરવાના છે. આ દરમિયાન જબરદસ્તીથી રામજન્મ ભૂમિ જઇ રહેલ તોગડીયા સમર્થકો અને પોલીસ વચ્ચે ઝડપ થઇ હતી. આ ઝડપમાં એએચપીના ઘણા કાર્યકતાઓ ઘાયલ થયા હતા. તંત્ર સાથે ઝડપની શકયતાને ધ્યાને રાખી અયોધ્યામાં ખાસ સર્તકતા રાખવામાં આવી રહી છે.

 ગઇકાલે સોમવારથી જ તંત્ર દ્વારા તોગડીયા ઉપર નજર રાખવામાં આવી રહી છે. આજે સવારે અચાનક મોટી સંખ્યામાં એએચપી કાર્યકર્તાઓ રામકોટ  પરિક્રમા માટે આગળ વધવા માંડયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ અયોધ્યા તરફ જવાના રસ્તે મુકવામાં આવેલ એક બેરીકેડને ધકેલીને ઝડપ થઇ હતી. હાલ ખુબ જ તણાવ ભરેલ સ્થિતિ છે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

સરયૂ નદિના કિનારે સભાની અનુમતિ ન મળવા છતા ડો. પ્રવિણભાઇ તોગડીયાએ ગઇકાલે સમર્થકોને સંબોધીત કર્યા હતા  તેમણે જણાવેલ કે ૩૨ વર્ષથી આરએસએસ, ભાજપ અને વીએચપી એક જ મુદાને લઇને રામ મંદીરનું આંદોલન ચલાવી રહયા હતા. કે સંસદમાં કાયદો બનાવીને રામ મંદીર બને. તોગડીયાએ આરોપ લગાવતા જણાવેલ કે હવે દર્શન શુધ્ધા કરવા દેવામાં આવતા નથી.

 ડો. તોગડીયાએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા વધુમાં જણાવેલ કે દિલ્હીમાં ૫૦૦ કરોડનું ભાજપ કાર્યાલય બનાવી લીધુ પણ રામલલ્લા આજે પણ ટેન્ટમાં જ છે. તોગડીયાએ પ્રદેશની સરકાર ઉપર આરોપ લગાવેલ કે અમને અયોધ્યામાં રહેવાથી રોકવામાં આવ્યા અમારા સમર્થકોના ખાવાના સામાન સાથેના ટ્રકને પણ રોકવામાં આવેલ આવુ તો મુલાયમ સરકારમાં થયાનું અંતમાં તેમણે ઉમેરેલ.

 બીજી તરફ રામ મંદિર મુદે શીવસેના પણ એકધારો કેન્દ્ર ઉપર હુમલો કરી રહી છે. આ અનુસંધાને ૨૫ નવેમ્બરે શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે અયોધ્યા પહોંચવાના છે. આ  પહેલા શિવસેના સાંસદ સંજય રાઉત ફૈઝાબાદ પહોંચી ગયા છે.માનવામાં આવી રહયું છે કે તેઓ આજે તોગડીયા સાથે મુલાકાત કરશેે.

 કેન્દ્ર સરકાર ઉપર વધુ આરોપ કરતા ડો. પ્રવિણભાઇ તોગડીયાએ જણાવેલ કે લખનૌમાં સરકાર બાબરી મસ્જીદ બનાવવા જઇ રહી છે. તેમનો રામ મંદિરનો વાયદો પણ ખોટો સાબીત થયો છે. આથી વિશેષ તોગડીયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ ઉપર હુમલો કરતા જણાવેલ કે કોંગ્રેસ મુકત ભારતનો નારો આપતા-આપતા ભાજપને કોંગ્રેસ યુકત બનાવી દીધી છે. કોંગ્રેસનો કચરો, જેને કોંગ્રેસમાં કોઇ પુછનાર નથી તેને ભાજપમાં લાવીને ઉચ્ચા પદો પર બેસાડી દેવાયા છે. મુળ ભાજપી બીચારો રામ મંદિરનું સપનું જોઇને હજી પણ રોઇ રહયો છે.

(4:11 pm IST)