Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

દેશમાં હિન્દુઓ અને મુસ્લિમોને સાચો ખતરો મોદી અને ઓવૈસીથી છે.: ડરાવીને ગેરમાર્ગે દોરે છે ,અને વોટ માંગે છે : દિગ્વિજયસિંહના પ્રહાર

2028 સુધીમાં હિન્દુ અને મુસ્લિમોનો જન્મદર એક સરખો થઈ જશે અને દેશની વસ્તી વૃધ્ધિ સ્થિર થઈ જશે.

નવી દિલ્હી :કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે વડાપ્રધાન મોદી અને ઔવેસીને લઈને આકરા પ્રહારો કર્યા છે તે ઉપરાંત તેમને હિન્દુ અને મુસ્લિમોની વસ્તીને લઈને આપેલા નિવેદનના કારણે આગામી દિવસોમાં રાજકીય મોરચે ગરમાવો આવી શકે છે.

દિગ્વિજયસિંહે ઓવૈસી પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, જે રીતે હિન્દુઓને ડરાવીને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે. તે રીતે ઓવૈસી પણ મુસ્લિમોને ડર બતાવીને તેમના વોટ મેળવવા માંગે છે. દેશમાં હિન્દુઓ અને મુસ્લિમોને સાચો ખતરો તો મોદી અને ઓવૈસીથી છે.

દિગ્વિજય સિંહેે વધતી વસ્તી અંગે જણાવતા કહ્યું હતુ કે, જે રીતે જન્મદર જોવા મળી રહ્યો છે તે જોતા 2028 સુધીમાં દેશમાં હિન્દુ અને મુસ્લિમોનો જન્મદર એક સમાન થઈ જશે.

દિગ્વિજયસિંહે એક કાર્યક્રમમાં બીજેપીના નેતાઓ દ્વારા અવારનવાર આપવામાં આવતા નિવેદન અંગે કહ્યું હતુ કે, તે લોકો કહે છે કે મુસ્લિમો ચાર-ચાર પત્નીઓ સાથે પરણીને ડઝનબંધ બાળકો પેદા કરે છે અને દેશમાં આગામી 10થી 12 વર્ષમાં મુસ્લિમો બહુમતીમાં આવી જશે અને હિન્દુઓ લઘુમતીમાં મુકાઈ જશે. આવા લોકોને મારી સાથે ચર્ચા કરવા માટે ખુલ્લો પડકાર છે.

તેમણે કહ્યુ હતુ કે, એક સર્વે પ્રમાણે દેશમાં હિન્દુઓની સરખામણીમાં મુસ્લિમોનો જન્મદર ઘટી રહ્યો છે. 1951થી આજ સુધી મુસ્લિમોના જન્મદરમાં જે ઝડપથી ઘટાડો થયો છે તેટલી ઝડપથી હિન્દુઓના જન્મદરમાં ઘટાડો થયો નથી. આજે મુસ્લિમોનો જન્મદર 2.7 અને હિન્દુઓને 2.3 છે. આ જોતા લાગે છે કે, 2028 સુધીમાં હિન્દુ અને મુસ્લિમોનો જન્મદર એક સરખો થઈ જશે અને દેશની વસ્તી વૃધ્ધિ સ્થિર થઈ જશે.

(10:08 pm IST)